(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી નગરપાલિકા દ્વારા જી-20 અંતર્ગત પર્યાવરણ અને વાતાવરણ ફેરફારની લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં બીજી એપ્રિલે વી.આઈ.એ. ઓડિટોરિયમ ખાતે જી20 ના પ્રચાર પ્રસાર માટે નગરપાલિકા દ્વારા નાટકનો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આર્ટ્સ કલબ ફેમિલી વડોદરાના શ્રી રાજેશભાઈ વ્યાસના નેતૃત્વ હેઠળ સંગીતમય કોમેડીએકાંકી નાટક ‘‘નેહલે પે દેહલા” ની પ્રસ્તુતિ થઈ હતી. આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત જી-20 નું નેતૃત્વ કરી રહ્યું છે અને ગુજરાતમાં જી-20 અંતર્ગત પર્યાવરણ જાગૃતિના સૌથી વધુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ ગૌરવની વાત છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કશ્મીરા શાહ, ઉપ પ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ, વિવિધ સમિતિના ચેરમેન, સભ્યઓ ઉપરાંત વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ વગેરે સાથે નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.