વહીવટી તંત્ર સાબદુ થઈ ચૂક્યું છે : સારા 3 દર્દીને રજા અપાઈ છે, એકનું મોત પણ નિપજ્યું છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03
વલસાડ જિલ્લો એક સમયે સંપૂર્ણ કોરોના મુક્ત બની ચૂક્યો હતો ત્યાં છેલ્લા પખવાડિયામાં જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. પ્રત્યેક દિવસ એક કરતા વધુકોરોનાના કેસ સામે આવી રહ્યા હોવાથી વહિવટી તંત્ર સક્રિય બની ચૂક્યું છે.
વલસાડ જિલ્લામાં કોરોનાની ચોથી લહેરની દહેશત ઈન્કારી શકાય એમ નથી કારણ કે હાલમાં જિલ્લામાં 36 કોરોના એક્ટિવ કેસ સારવાર હેઠળ છે તે પૈકી ત્રણ દર્દીઓ સારા થતા રજા અપાઈ છે. કોરોના વાપી વિસ્તારમાંથી આવી રહ્યા છે. વાપી પાસે છીરીમાં 23 વર્ષિય યુવતી અને અંભીટમાં 45 વર્ષિય મહિલા કોરોનાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયેલા છે. વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ પૂર્વે એક જ દિવસમાં એક સાથે 7 કોરોનાના દર્દી સામે આવ્યા હતા. તેથી વહિવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ધીરે ધીરે કોરોના ફરી પંજો ફેલાવી રહ્યાની ગંભીરતા ઉભી થઈ છે. કારણ કે જિલ્લામાં પ્રત્યેક દિવસે એક થી વધુ દર્દી કોરોનાગ્રસ્ત બની ચૂક્યા છે. છેલ્લા કોરોના ઉથલામાં એક દર્દીનું મોત પણ નિપજ્યું છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 275 ઉપરાંત નોંધાયા છે તેથી કોરોના અંગે તકેદારીના પગલાં પૂર્વવત પાલન કરવા પડશે નહીંતર જો આમ જ કેસો વધતા રહેશે તો ચોથી લહેર દસ્તક મારી દેશે.