સરફરાજ અને અલ્તાફની અડધો કલાક પછી લાશ મળી : સહાબુદ્દિન બચી ગયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: છેલ્લા ત્રણ દિવસથી મોટાપોંઢા પાસે વહેતી દમણગંગા યોજનાની મોટી કેનાલ ગોઝારી બની ચૂકી છે. બે દિવસ પહેલાં પતિ-પત્નીનું બાઈક પાણીમાં ખાબકી જતા પતિનું મોત નિપજ્યું હતું. ત્યાં મંગળવારે સાંજના કેનાલમાં દોરડુ બાંધી ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી દોરડુ તૂટી જતા બે મિત્રો તણાઈ ડૂબી જતા મોત નિપજ્યું હતું. જ્યારે એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો.
પ્રાપ્તવિગતો મુજબ મોટાપોંઢામાંથી પસાર થતી કેનાલ છેલ્લા કેટલાક દિવસોથી ભોગ લઈ રહી છે. મંગળવારે સાંજના મોટાપોંઢામાં વેલકમ ધાબા પાસે પંચરની દુકાન ચલાવતાં સરફરાજ ઉ.વ.28 તથા કાકડકોપરમાં પેટ્રોલ પમ્પ પાસે પંચરની દુકાન ચલાવતો 27 વર્ષિય અલ્તાફ અને કરવડમાં પંચરની દુકાન ચલાવતો સહાબુદ્દિન મળી ત્રણેય મિત્રો મંગળવારે સાંજના મોટાપોંઢામાં વહેતી દમણગંગા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. પાણીમાં તણાઈ ના જવાય તે માટે દોરડુ પણ બાંધ્યું હતું પરંતુ બચવા માટે બાંધેલુ દોરડું નહેરમાં પાણીનો પ્રવાહ વધતાં તૂટી ગયું જેથી પકડીને નહાઈ રહેલા સરફરાજ અને અલ્તાફ તણાઈ ગયા હતા. જ્યારે સ્થાનિક ઉપેન્દ્રભાઈએ સહાનુબુદ્ધિનને બચાવી સારવાર માટે ખસેડતા તે બચી ગયો હતો. ત્રણેય મિત્રો નાહીને રમઝાનનો ઉપવાસ રોઝા પુરા કરવાના હતા ત્યાં બેને મોત ભરખી ગયું.