-
સંઘપ્રદેશ પ્રશાસનની નવી ઔદ્યોગિક નીતિ રોકાણકારો માટે સોનેરી અવસર ઉપલબ્ધ કરાવશે : અનિલ કુમાર સિંઘ-પ્રશાસકશ્રીના સલાહકાર
-
પ્રદેશની નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત દાનહ અને દમણ-દીવમાં અત્યાર સુધી 10 હજારથી વધુ ઉદ્યોગોની સ્થાપના સાથે રૂા. 55 હજાર કરોડ કરતા વધુનું થયેલું રોકાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.31
આજે સેલવાસના કલાકેન્દ્ર ખાતે નાણાંકીય વર્ષ ર0ર1-રરમાં ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન યોજના અંતર્ગત સબસીડી મેળવવાવાળા ઉદ્યોગોને સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘે સબસીડીના ચેકનું વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં કુલ 52 ઔદ્યોગિક એકમોને 19 કરોડ 80 લાખની સબસીડીના ચેકોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સંઘપ્રદેશપ્રશાસનમાં એવી નીતિઓ બનાવવામાં આવી છે.જેમાં બીજા રાજ્યોથી વધુ સારા રોકાણનો માહોલ ઉપલબ્ધ થઈ શકે.જેની પ્રતિતિ પણ એ છે કે, રોકાણકારોને આ નાણાંકીય વર્ષમાં સમય પહેલા સબસીડી ઉપલબ્ધ કરાવી પ્રદેશના ઉદ્યોગ વિભાગે પોતાની કાબેલિયત અને ગતિશીલતાનો પણ પરિચય આપ્યો છે. તેમણે ભવિષ્યમાં પણ પોતાના ઔદ્યોગિક રોકાણનું વિસ્તરણ તથા નવા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો પણ અનુરોધ કર્યો હતો.
પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશમાં 1971થી ઔદ્યોગિક રોકાણની પ્રક્રિયા ચાલુ છે અને 1984માં પહેલી વખત સંઘપ્રદેશમાં ટેક્ષ બેનેફિટ લાવવામાં આવ્યો હતો અને 1992માં ફરીથી ટેક્ષ બેનેફિટનો આરંભ કરાયો હતો જે ઈ.સ.ર000 સુધી ચાલુ હતો, ત્યારબાદ ભારત સરકારે વર્ષ ર000 બાદ ટેક્ષ બેનેફિટની મુદ્દત વધારી 2017 સુધી કર્યો હતો. આ દરમિયાન જીએસટી લાગુ થવાથી ટેક્ષ બેનેફિટ ખતમ થઈ ગયો હતો પરંતુ 2015માં લાગુ કરવામાં આવેલ નવી રોકાણ નીતિના કારણે રોકાણકારોની વિવિધ યોજનાઓ અંતર્ગત સબસીડી ઉપલબ્ધ કરાવવાનું પ્રાવધાન હતુ અને જેનો લાભ મળવાના કારણે અત્યાર દાદરા નગર હવેલી અને દમણમાં 10 હજારથી વધુ ઉદ્યોગો સ્થપાય ચૂક્યા છે જેમાં લગભગ 55 હજાર કરોડનું રોકાણ થયું છે.જે ઔદ્યોગિક અને પ્રશાસનિક નીતિનું એક ઉત્તમ દૃષ્ટાંત છે.તેમણે રોકારણકારોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલ નવી નીતિથી અગામી સમયમાં સંઘપ્રદેશ પ્રશાસન રોકાણ માટે એક સોનેરી અવસર ઉપલબ્ધ કરાવશે જેનો લાભ દરેકે લેવો જોઈએ.
આ પ્રસંગે ઉદ્યોગ સચિવ ડો.એ.મુથમ્મા, સેલવાસ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી અજીત યાદવ, દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ વગેરેએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું.