(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણની જિલ્લા અને સત્ર ન્યાયાલયે આજે એક હત્યાના ગુનામાં આરોપીને દોષિત ઠેરવી જનમટીપની સજા અને રૂા.10 હજારના દંડની સજા સંભળાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 17 જુલાઈ, 2020ના રોજ બપોરે 3 વાગ્યે સોમનાથી એસવીજી કંપનીના સુપરવાઝઈર કપીલ યાદવ પોતાના સાથી અભિષેક રાણા અને રાજકુમર મોર્યા સાથે ત્રીજા માળ ઉપર કામ કરી રહ્યા હતા. કંપનીના જ કામદાર સુશીલ લખન સિંહ જેની રાતની પાળીમાં નોકરી હતી. તે જબરજસ્તીથી કંપનીમાં ઘુસી આવી સીધો ત્રીજા માળ ઉપર જઈ કપીલ યાદવની પાસે પહોંચી ગયો હતો. આ દરમિયાન સુશીલ સિંહે કપીલ યાદવને બીજી તરફ જોવા માટે બોલાવ્યો હતો. કપીલે ઈન્કાર કરતાં સુશીલે પાસે રાખેલા હથોડાથી કપીલના ખભા ઉપર પ્રહાર કર્યો. પ્રહારની કપીલ પડી ગયો હતો. કપીલ પડી ગયા બાદ સુશીલે તેના ઉપર હથોડાની અનેકવાર પ્રહાર કર્યા હતા. જેના કારણે કપીલને ગંભીરઈજા પહોંચી હતી. કપીલની સાથે કામ કરી રહેલા અભિષેક રાણા અને રાજકુમાર મોર્ય દોડીને એચ.આર.ની પાસે ગયા અને કપીલને ઈલાજ માટે એમ્બ્યુલન્સની મદદની જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ કપીલને મૃત ઘોષિત કર્યો હતો. કંપનીના એચ.આર.એ. પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી સુશીલની ધરપકડ કરી હૂમલા માટે ઉપયોગમાં લીધેલ હથોડો પણ બરામદ કર્યો હતો. અભિષેક રાણાની ફરિયાદના આધારે દમણ પોલીસ સ્ટેશનમાં 302 આઈપીસી અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો અને પી.એસ.આઈ. શ્રીમતી હિરલ પટેલે સઘન તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત ઘટના સ્થળ ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ કે જેમાં હૂમલાની પુરી વિગતો રેકોર્ડ થઈ હતી. પુરાવાના આધાર ઉપર પી.એસ.આઈ. શ્રીમતી હિરલ પટેલે 14 ઓક્ટોબર 2020ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આજે આ કેસની સુનાવણી કરતાં વિદ્વાન ન્યાયાધિશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ ડોક્ટર, નજરે જોનારા સાક્ષીઓ સહિત કુલ 11 સાક્ષીઓને સાંભળ્યા બાદ આરોપી સુશીલ લખન સિંહને આઈપીસીની 302 કલમ અંતર્ગત ગુનેગાર ઠેરવી આજીવન જેલ અને રૂા.10 હજારના દંડની સજા સંભળાવી હતી. આ કેસમાં સરકારી પબ્લિક પ્રોસિક્યુટર શ્રી હરિઓમ ઉપાધ્યાયે જોરદાર દલીલો કરીહતી.