ઘેજ અને ચરી ગામે બે આંગણવાડીના મકાનનું લોકાર્પણ કરી ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા કુપોષિત બાળકોને કીટ પણ આપવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના ઘેજ ગામે રૂા.1.02 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. ઘેજ અને ચરી ગામે બે આંગણવાડીના મકાનનું લોકાર્પણ કરી ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા કુપોષિત બાળકોને કીટ પણ આપવામાં આવી હતી.
ઘેજમાં પીએચસીના લોકાર્પણની શરૂઆત ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર, પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ બાંધકામ અધ્યક્ષ દિપાબેન તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાંવિત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ બારોટ, એપીએમસી ચેરમેન કિશોરભાઈ, સરપંચ રાકેશભાઈ, ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ સહિતનાઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સીડીએચઓ ડો.અંગુનવાલાએ ઉપસ્થિતોને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.બાદમાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.હર્ષદભાઈ પટેલે સરકારની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની જાણકારી આપી તેમની નોકરીની શરૂઆતમાં ઘેજ પીએચસીમાં બજાવેલ ફરજને યાદ કરી હતી.
ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘેજ ગામે આજે પીએચસીના અદ્યતન મકાનનું નિર્માણ થયું છે. ત્યારે પીએચસીના તાબામાં આવતા ગામોની 25,000 થી વધુ વસ્તીને લાભ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિને પગલે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ અદ્યતન સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. અને હાલે પીએચસીમાં એમબીબીએસ તબીબ છે. પરંતુ આવનાર દિવસોમાં ગાયનેક, સર્જન સહિતના તમામ તબીબોની નિમણૂક કરી ગામડાના વ્યક્તિએ સારવાર માટે તાલુકા મથકે ન જવું પડે તે પ્રકારની હોસ્પિટલ તૈયાર કરવાનું આયોજન હોવાનું જણાવી વડાપ્રધાનની આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાઓને બિરદાવી હતી. નરેશભાઈ ઘેજ ગામના વાળંદ ફળીયા સ્થિત ચરી ગામના આંબાવાડીમાં નવનિર્મિત આંગણવાડીના મકાનોનું પણ લોકાર્પણ કરી કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર કીટ પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય સેજલબેન, માજી સરપંચ વિનોદભાઈ, ચરીના સરપંચ કીર્તિબેન, ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી.બી.પટેલ, ઉપરાંત મેડિકલ ઓફિસર ડો.તોહાબેનએમપીએચડબ્લ્યુ, એફએચડબ્લ્યુ, સીએચઓ, સેવકો, ફાર્મસીસ્ટ સ્ટાફ બ્રધર્સ સહિતનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આભારવિધિ ડો.અલ્પેશભાઈ પટેલે જ્યારે સંચાલન પ્રેગ્નેશભાઈ પરમારે કર્યું હતું.