(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને સંઘપ્રદેશના નાણા સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતની અધ્યક્ષતામાં દાનહના કિલવણી પંચાયતના દરેક ગામ કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશાસનનાઅધિકારીઓ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં અધિકારીઓ દ્વારા ગ્રામજનોની સ્થાનિક સમસ્યા સાંભળવામાં આવી હતી અને સમય સીમામાં તેના સમાધાન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જનતાની સમસ્યાને ધ્યાનમાં રાખી એના નિવારણ હેતુ કિલવણી પંચાયતના ગ્રામીણ વિસ્તારના રાશનકાર્ડ, વિવિધ આવશ્યક દાખલા, પેંશન, વીજળી કનેક્શન વગેરે માટે વિશેષ કેમ્પ લગાવવા માટે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી-નિર્દેશ આપવામાં આવ્યા હતા અને પંચાયતની વિવિધ સમસ્યાને વહેલામાં વહેલી હલ કરવાનો પ્રયાસ કરવામાં આવનાર હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
આ અવસરે દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અરુણ ગુપ્તા, ડી.પી.ઓ. શ્રી પંકજસિંહ પરમાર, મામલતદાર શ્રી સાગર ઠક્કર, વિવિધ વિભાગના પ્રશાસનિક અધિકારીઓ, પ્રદેશના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત અરજદાર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.