સોમવારે 6 દર્દી ડીસ્ચાર્જ કરાયા : કોરોનાની ગાઈડલાઈન પાલન કરવાનો સમય આવી ચુક્યો છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વલસાડ જિલ્લામાં કોરોના દર્દીઓનો રોજેરોજ વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે. સોમવારે જિલ્લામાં નવા 5 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. જેમાં ત્રણસ્ત્રી અને બે પુરુષ દર્દીને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં કોરોનાની વણથંભી રફતાર આગળ ધપી રહી છે. જે ચિંતાજનક બાબત છે. કારણ કે પાછલા 15 દિવસથી રોજેરોજ નવા કોરોનાના દર્દી સામે આવી રહ્યા છે. સોમવારે વલસાડમાં 2સ્ત્રી દર્દી, પારડીમાં 1 પુરુષ દર્દી, વાપીમાં 1 પુરુષ અને ઉમરગામમાં 1સ્ત્રી દર્દી મળી કુલ નવા પાંચ દર્દીઓનો વધારો થયો છે. સ્થિતિ ધીમે ધીમે ચોથી લહેર તરફ આગળ ધપી રહી હોવાનું હાલમાં દેખાઈ રહ્યું છે. પરંતુ સારી વાત અને નિશાની એ છે કે આજે 6 દર્દીઓને ડીસ્ચાર્જ અપાતા હાલમાં કોરોનાના કુલ 52 દર્દી સારવાર હેઠળ છે. વહીવટી તંત્રએ કોરોના નાથવા સતર્કતા વધારી દીધી છે. માસ્ક પહેરવા જરૂરી બની ગયા છે તેમજ રાજ્ય સરકાર પણ એલર્ટ બની ગઈ છે. દરેક હોસ્પિટલોમાં કોરોના મોકડ્રીલ યોજવાની સુચના અપાઈ ચૂકી છે. તેમજ તમામ સિસ્ટમ અપડેટ રાખવાનીસરકારી સુચના અપાઈ ચૂકી છે. બીજી તરફ દેશમાં પણ કોરોના બેકાબુ બની રહ્યો છે. રવિવારે 5357 નવા દર્દી સાથે કુલ આંકડો 34815 સુધી પહોંચી ગયો હતો. ગુજરાતમાં પણ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે.