મંત્રીશ્રીએ કાર્યકર્મના સ્થળેથી જ રૂ. ૫૧ લાખના ખર્ચે રીનોવેશન થનારી જામગભાણ આશ્રમશાળાના મકાનના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કર્યું
સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા આદિજાતિ યુવાનો માટેના પુસ્તકો લાયબ્રેરીમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે- મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
લાયબ્રેરીમાં વિવિધ વિષયોના પુસ્તુકોના વાંચનથી વાચકના જ્ઞાનમાં વધારો થાય છે. મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી
વલસાડઃ તા. 19
કપરાડા – ધરમપુર તાલકાના સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા યુવાનોને પુસ્તકો લાયબ્રેરીમાંથી જ મળી રહે તે માટેના પુસ્તકોની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથોસાથ સામાન્ય વાચક તેમજ સીનીયર સીટીઝનોને વિવિધ વિષયના પુસ્તકોનો પણ લાભ મળી રહેશે.એમ કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનાર લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરતા રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો દાખલો આપતા જણાવ્યું હતું કે, તેઓ જયારે વિસ્તારક હતા ત્યારથી જ ખભે રાખેલ થેલામાં બે – ત્રણ પુસ્તકો રાખતા અને તેનું વાંચન થઈ જાય એટલે બીજા નવા પુસ્તકો થેલામાં મૂકતા. આમ તેઓએ વાંચનથી તેમના જ્ઞાનમાં વધારો કર્યો છે.
૧૫ માં નાણાંપંચ અંતર્ગત રૂ. ૯૦ લાખના ખર્ચે બનનારી લાયબ્રેરીના મકાન બાબતે વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આમાં રૂ. ૬૦ લાખ સ્ટેમ્પ ડ્યુટીની અને રૂ. ૩૦ લાખની ૧૫ માં નાણાં પંચની ગ્રાંટનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ આ જ સ્થળેથી જ રૂ.૫૧ લાખના ખર્ચે જામગભાણ આશ્રમશાળાના રિનોવેશનની માહિતી આપતા જણાવ્યું હતું કે, રૂ. ૩૨ લાખમાં ૪ ઓરડા અને રૂ. ૧૪ લાખની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ૧૦ ટકા પ્રમાણે હોસ્ટેલ હોલ અને કિચનનું તેમજ રૂ. ૪ લાખની જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટમાં પ્રોટેકટિવ વર્કનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે રાજ્યના પાણીપુરવઠા રાજયમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ પુસ્તકોના વાંચનથી માણસના જ્ઞાનમાં વધારો થાય છે એમ જણાવ્યું હતુ. મંત્રીશ્રીએ આજના ટેકનોલોજી યુગમાં દરેક વ્યક્તિએ તેના વ્યકિતત્વના વિકાસ માટે નવી નવી ટેકનોલોજીનું જ્ઞાન મેળવવા માટે ટ્રેનીંગ લેવી પડતી હોય છે. આ ટ્રેનીંગના પણ પુસ્તકો હોય છે. જેના અભ્યાસથી પણ શીખી શકાય છે. એમ જણાવી લાયબ્રેરીનું મહત્વ સમજાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા. ૧ કરોડના ખર્ચે તૈયાર થનારી કપરાડા તાલુકાની ગીરનારા આશ્રમશાળા માટે રૂા. ૫૦ લાખની નાણાંપંચની ગ્રાન્ટ અને રૂા. પ૦ લાખ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઇ તેના સી. એસ. આર. ફંડમાંથી આપશે. આ આશ્રમશાળાનું મકાન ૫૦ મીટર લંબાઇ અને ૯.૭૬ મીટર પહોળાઇ સાથે ૪૮૮.૮૬ ચો. મીટર સાથે પ્લીન્થ એરિયા મળશે. જેમાં ૮ કલાસરૂમો સાથે સ્ટાફ ઓફિસ અને પ્રિન્સીપાલ ઓફિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ માટે અલગ અલગ મકાન બનશે. જેની લંબાઇ ૧૧.૧૯ મીટર અને પહોળાઇ ૨૪.૮૬ મીટર મુજબ પ્લીન્થ એરિયા ૨૭૮.૧૮ ચો. મી. મળશે. આજ પ્રમાણે સ્ટાફ કવાર્ટસનું મકાન ૧૪.૪૨ મી. લંબાઇ અને ૬.૯૯ મી. પહોળાઇના બનશે. આજ પ્રમાણે ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળા પણ રૂા. ૫૦ લાખની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટ અને રૂ।. ૫૦ લાખના જીટીબીએલ કંપની વાપીના સી. એસ. આર. ફંડમાંથી રૂા. ૧ કરોડના ખર્ચે તૈયાર થશે. જેમાં ગીરનારા આશ્રમશાળાની પેટર્ન મુજબ ૮ કલાસરૂમો સાથે સ્ટાફ ઓફિસ અને પ્રિન્સીપાલ ઓફિસ, ૧૨૮ વિદ્યાર્થીઓ માટે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ ઉપરાંત સ્ટાફ કવાર્ટસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંન્ને આશ્રમશાળ માટે ફાયર સેફટી અને વોટર સપ્લાય અને બોર સબમર્શિબલ પંપની સુવિધા સાથે મળશે.
આ પ્રસંગે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
સ્વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ અને આભારવિધિ કપરાડા તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડે તેમજ સમગ્ર કાર્યકમનું સંચાલન નાનાપોંઢાં પ્રાથમિક શાળાના શિક્ષિકા જાગૃતિબેન ચૌધરીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલ, જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનના કાર્યપાલક ઈજનેર ધર્મેશભાઈ પટેલ, જિલ્લા/ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગ્રામ્યજનો હાજર રહ્યાં હતાં.