સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સલાહકાર સહિતની ટીમ દ્વારા દાનહના ગામડાંમાં લોકો વચ્ચે પહોંચી પ્રધાનમંત્રીશ્રીએ પ્રદેશ પ્રત્યે રાખેલી ઉદારતા અને કૃપાદૃષ્ટિની માહિતી જન જન સુધી પહોંચાડી કાર્યક્રમને અતિ સફળ બનાવવા થઈ રહેલા પ્રયાસો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રસ્તાવિત દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતને યાદગારઅને સફળ બનાવવા માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશમાં દરેક જગ્યાએ તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજનો શુભારંભ તથા અનેક વિકાસ પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ભૂમિ પૂજન પણ કરવાના છે.
પ્રધાનમંત્રીશ્રીની સૂચિત મુલાકાતને ઐતિહાસિક બનાવવા માટે સંઘપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સ્વયં મોરચો સંભાળી લીધો છે અને તેમણે સ્વયં ખાનવેલ, રૂદાના, માંદોની, સિંદોની, દપાડા, સાયલી, રખોલી, સામરવરણી, મસાટ સહિત લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં જઈ ગામે ગામમાં જન સંપર્ક કરવાની સાથે જે તે પંચાયતમાં કાર્યરત સરકારી કર્મચારી શિક્ષકો અને લોકો સાથે બેઠક કરી પ્રદેશ પ્રત્યે પ્રધાનમંત્રીશ્રીએ રાખેલી ઉદારતાની માહિતી જન જન સુધી પહોંચાડી કાર્યક્રમને અતિ સફળ બનાવવા ચર્ચા-વિચારણાં કરી રહ્યા છે.
પ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે દરેક આશાકર્મી અને આરોગ્ય કર્મચારીઓ સાથે પણ કે જેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવી રહ્યા છે તેમને પણ નાનાં નાનાં ફળિયા, પાડામાં પહોંચી પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત અને મેડિકલ કોલેજના શુભારંભ તથા અન્ય કાર્યક્રમોની જાણકારી લોકોસુધી પહોંચાડવામાં આવી રહી છે, જેથી ઊંડાણના લોકોને પણ કાર્યક્રમ સ્થળ સુધી કેવી રીતે પહોંચવું તેની સમજ આપવામાં આવી રહી છે. કાર્યક્રમ સ્થળ સુધી આવવા અને જવાની સુવિધાની બાબતમાં પણ લોકોના મનમાં ઉઠતા પ્રશ્નોનું નિરાકરણ આરોગ્ય વિભાગના સલાહકાર ડો. દાસ અને આરોગ્ય વિભાગની પુરી ટીમ કરી રહી છે. પ્રધાનમંત્રીશ્રી દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા હોવાની ખબરથી જ પ્રત્યેક ગામના લોકોમાં પણ ભારે ઉત્સાહનો નજારો આરોગ્ય વિભાગની ટીમને પણ જોવા મળી રહ્યો છે.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અમે આ જન સંપર્ક શરૂ કર્યો છે અને પ્રધાનમંત્રીશ્રી દ્વારા મેડિકલ કોલેજનો થઈ રહેલો શુભારંભ આપણાં દરેક માટે મોટા ગૌરવની વાત છે. તેથી અમે અત્યાર સુધી ઘણી પંચાયતોમાં બેઠકો કરી છે અને બાકી રહેલ પંચાયતો જેમાં દૂધની, કૌંચા, સુરંગી, આંબોલી, નરોલી, ગલોન્ડા, કિલવણી, રાંધા અને સેલવાસ શહેરનો સમાવેશ થાય છે. તેમાં પણ આવતા દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમ દરેક નાનાં નાનાં ગામ, ફળિયા અને પાડા સુધી પહોંચી પ્રધાનમંત્રીશ્રીની સૂચિત મુલાકાતના સંદર્ભમાં લોકોને જાગૃત તથા કાર્યક્રમથી માહિતગાર કરાવાશે.કાર્યક્રમમાં લોકોએ ખુબ જ હોંશ અને જુસ્સા સાથે ભાગ લેવો જોઈએ જેને સરળ બનાવવા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ.