સાંસદ લાલુભાઈ પટેલ,હવેલી વલ્લભ સંપ્રદાયના મહારાજ ગોવિંદરાય, સ્વામી નારાયણ ગુરૂકુળ સલવાવના કપિલ સ્વામી તથા સંઘપ્રદેશના પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્થિતિમાં યોજાયો આરંગેત્રમ નૃત્ય પ્રદર્શન કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10: શનિવારે દમણમાં આરંગેત્રમને પ્રદર્શિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, હવેલી વલ્લભ સંપ્રદાયના મહારાજ શ્રી ગોવિંદરાય, સ્વામી નારાયણ ગુરૂકુળ સલવાવના શ્રી કપિલ સ્વામી તથા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ 8મી એપ્રિલના શનિવારે દમણની ધરતી ઉપર 4 દિકરીઓ સુશ્રી અન્વેષા વાડોદરિયા, સુશ્રી આર્યા મેહતા, સુશ્રી ગાયત્રી નાયર અને સુશ્રી આરતી નાયરે ભરતનાટ્યમ પર આરંગેત્રમ કરીને તેમની નૃત્ય અને નાટય સફરનો શુભારંભ કર્યો હતો. કાર્યક્રમનો શુભારંભ ભગવાન શ્રી નટરાજની પૂજા-અર્ચના બાદ દિકરીઓના માતા-પિતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
ભરત નાટયમની સફરનો શુભારંભ કરી રહેલ ચારેય દિકરીઓએ સાત કરતા વધુ વર્ષની કઠોર તપસ્યા બાદ 12 અલગ અલગ કૃતિઓ અલગ અલગ રાગો અને તાલોમાં રજૂકરી તેમની કલાને દર્શકોની સામે પ્રદર્શિત કરી હતી. આ પ્રસંગે ચારેય દિકરીઓએ એકલ, યુગલ અને સંયુક્ત કૃતિઓ પ્રસ્તુત કરી ઉપસ્થિત તમામ દ્વારા પ્રશંસા મેળવી લાગણીને જીતી લીધી હતી. ચારેય દિકરીઓએ તેમની તાલીમ અને શિક્ષણ ગુરૂ શ્રી હેમાક્ષી જોશી, શ્રી સાંઈ કલા કેન્દ્ર, દમણથી પૂર્ણ કરી હતી અને નૃત્યમાં ઉચ્ચ તાલીમ અને સૂક્ષ્મતા તપાસવા માટે વડોદરા સ્થિત ગુરૂ શ્રી શિવા કુમાર પિલ્લઈ તથા ગુરૂમાશ્રી દીપા પિલ્લઈના માર્ગર્શનમાં પૂર્ણ કરી હતી.