(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : સંઘપ્રદેશમાં આધારના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસ અંતર્ગત વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ ક્ષેત્રીય કાર્યાલય, મુંબઈ અને સંઘપ્રદેશ પ્રશાસનના સહયોગથી દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં કલા કેન્દ્ર ખાતે આજે એક કાર્યશાળાનું આયોજન કરવામાંઆવ્યું હતું.
કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત અતિથિઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે યુઆઈડીએઆઈ(હેડ ક્વાર્ટર) ઉપ મહાનિર્દેશક શ્રી આમોદ કુમાર, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદ અને ડીબીટી ડાયરેક્ટર શ્રી સૌરભ કુમાર તિવારી, યુઆઈડીએઆઈ આર.ઓ., મુંબઈના શ્રી સુમનેશ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યુઆઈડીએઆઈ(હેડ ક્વાર્ટર) ઉપ મહાનિર્દેશક શ્રી આમોદ કુમારે આધાર પ્રમાણીકરણના મહત્વ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં તેના વધતા ઉપયોગ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આધાર જ વ્યક્તિની ઓળખ છે, એમણે આધાર પ્રમાણીકરણના ફેસ ઑફ ફીચર પણ રજૂ કર્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદે યુઆઈડીએઆઈ અંતર્ગત વિવિધ જાણકારી અને ઉપયોગ અંગે સમજણ આપી હતી. આ પ્રસંગે યુઆઈડીએઆઈ આર.ઓ.(મુંબઈ) શ્રી સુમનેશ જોષીએ જણાવ્યું હતું કે આધારકાર્ડે ભારતમાં એક ડિજિટલ ક્રાંતિ લાવી છે અને દુનિયાના કેટલાક દેશો પણ આ ટેકનીકને અપનાવવા ઈચ્છુક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે ઉભરતી નવી નવી ટેકનીક સાથે ડેટા સંચાલિત અર્થવ્યવસ્થા બની ગયા છીએ. આદરમિયાન ડીબીટી સંયુક્ત સચિવ શ્રી સૌરભ તિવારીએ આધારના પ્રત્યક્ષ લાભ અંતરણ મિશનની સુવિધા અંગે જાણકારી આપી હતી. જ્યારે શ્રી રાજેશ ગુપ્તાએ આધારમાં દસ્તાવેજ અદ્યતનીકરણની આવશ્યકતા અંગે જાણકારી આપી હતી, સાથે એમણે નામાંકન અને અપડેટ ઈકો સિસ્ટમમાં નવી પહેલ અંગે માહિતી આપી હતી.
દાદરા નગર હવેલીના નિવાસી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સુશ્રી ચાર્મી પારેખે જિલ્લામાં ચાલી રહેલ યુઆઈડીએઆઈના અંતર્ગત વિવિધ કાર્યો સાથે જોડાયેલ માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું અને ભવિષ્યમાં વધુમાં વધુ આધાર અંતર્ગત કાર્યોને પ્રદેશમાં લેવામાં આવશે અને તેના ઉપર વિશેષ ધ્યાન આપવા આશ્વાસન આપ્યું હતું. આ કાર્યશાળામાં સચિવો, સંયુક્ત સચિવ, નિર્દેશક અને દરેક કાર્યાલયના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.