(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.26: ચીખલી તાલુકાના દેગામ ગમે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવમાંથી માટી ખોદી ખાનગી વ્યક્તિને વેચવામાં આવતા ગ્રામજનોમાં ભારે ગણગણાટ ફેલાવા પામ્યો છે અને જે માટી ગામના જ એક રાજકીય આગેવાન દ્વારા વેચવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. જે બાબતે ભૂસ્તર વિભાગ અને ડ્રેનેજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો માટી ચોરીનું મોટું કૌભાંડ બહાર આવવા પામે છે.
સરકાર દ્વારા પાણીનો સંગ્રહ કરી જલસ્તર ઊંચું લાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી તળાવ ઊંડા કરવા સુજલામ સુફલામ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં તળાવો ખોદવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ચીખલી તાલુકાના દેગામ ગામે તળાવ ખોદવાની કામગીરી ચાલી રહી છે. અને સરકારી નિયમ અનુસાર તળાવમાંથી નીકળતી માટી ગામના ખેડૂતોના ખેતરમાં અથવા તો સરકારી કામોમાં વાપરવા માટેનો સરકારનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ છે. ત્યારે દેગામ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ખોદવાની મંજૂરી આપવામાં આવેલો છે. ત્યારે આ તળાવનીમાટી નિતિનિયમ વિરૂધ્ધ બહાર ખાનગી એજન્સીઓ ખાનગી પ્રોજેક્ટોમાં ગામના જ એક રાજકીય આગેવાનની રહેમ નજર અને મિલીભગતમાં લાખો રૂપિયાની માટી ગામ બહાર વેચવાનો કાળો કારભાર ચાલી રહ્યો છે. અને જેના પગલે સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો રાજકીય આગેવાન દ્વારા મસમોટું માટી ચોરીનું કૌભાંડનો પર્દાફાશ થવા પામી એમ છે.