(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત કાર્યરત સ્વામિનારાયણ ગુરુકુળ શાળાના સભાખંડમાં 15 મી ઓગસ્ટના સ્વતંત્ર દિનની સાંજે શહીદોની યાદમાં ‘‘એક શામ શહીદોને નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહીદ વીરોના બલિદાનને યાદ કરી દેશભક્તિની ગાથાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં એકથી એક ચડિયાતા દેશભક્તિના ગીતો કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અંકલાસના નિવૃત્ત બીએસએફ જવાન શ્રી ઉત્તમભાઈ વારલી, પેરા મિલેટ્રીના જવાન, અર્ધ લશ્કર સંગઠનના શ્રી કુશળભાઈ વાળું, ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી શ્રી મુકેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પંડેરનું સરીગામની સેવાભાવી સંસ્થા સીતારામ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પ્રતિકભાઈ રાયે પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, એસ.આઈ.એ. ના પૂર્વ પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સજ્જનભાઈ મોરારકા, શ્રી નિર્મલભાઈ દુધાની, સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી સંતસ્વરૂપદાસજી સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક સંગઠનના અગ્રણીઓ તેમજ ભીલાડ સહિત આજુબાજુના ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.