પાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં વિરોધ પક્ષએ અનેક બાબતોમાં શાસકપક્ષને ઘેર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વાપી નગરપાલિકાની સામાન્ય સભા શનિવારે પાલિકા હોલમાં યોજાઈ હતી. જેમાં શહેરની સમસ્યા અને નવિન વિકાસ અને વહિવટી બાબતોની ચર્ચાઓ અને નિર્ણય લેવાયા હતા.
વાપી પાલિકાની સામાન્ય સભા પ્રમુખ શ્રીમતી કાશ્મિરાબેન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ત્રિમાસિક સામાન્ય સભામાં વિરોધ પક્ષ હાવી રહ્યો હતો. શાસકપક્ષ સામે પ્રશ્નોનો મારો ચલાવી ઘેરી લીધો હતો. વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલએ સભાના પ્રારંભમાં જ પાણી સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાપી વિસ્તારમાં અસંખ્ય ચાલીઓ આવી છે. આ ચાલીઓમાં રૂમો 10 ઉપરાંત હોય છે છતાં પાણીનું સામુહિક એક કનેકશન હોવાથી ચાલીમાં વસનારા આમ લોકો પાણીની વિકટ સમસ્યા ભોગવી રહ્યા છે. તેમજ તમામ ચાલી નળનો ખોટો ટેક્ષ ઉઘરાવાય છે. જવાબમાં કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ટેક્ષ નિયમ મુજબ જ લેવાય છે. સભામાં ફીશમાર્કેટ હરાજીનો મુદ્દો પણ ઉઠયો હતો. હરાજીમાં એક જ પરિવારને વધુ દુકાનોની ફાળવણી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. સ્ટ્રીટ લાઈટ અંગેની વ્યાપક ફરિયાદોનો મુદ્દો સામાન્ય સભામાં ઉઠયો હતો. જેમાં નિર્ણય કરાયો હતો કે ડિસેમ્બર 2023માં એજન્સીનો કોન્ટ્રાક્ટ પુરો થાય છે તેને રીન્યુ કરવામાં આવશે નહીં. વાપીના ત્રણ તળાવોની માનજતના મામલે શશીજીત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો કરાર કરી કોર કમિટિ નવી એજન્સીની નિમણૂંક કરશે. જેવા મુદ્દાઓ પાલિકાની સામાન્ય સભામાં ચર્ચાયા હતા.