ટિકીટના પૈસા ચોરવાના તથાકથિત લાગેલા આરોપ અને પોતાને રજૂઆતની તક આપ્યા વગર કરેલા કથિત અપમાનના કારણે દાનહના મોરખલ બરડપાડાની યુવતિ સરસ્વતી ભોયાએ કરેલી આત્મહત્યા
સેલવાસ સ્માર્ટ સીટી બસ સેવાના કર્મચારીઓએ વિરોધમાં હડતાળ પાડતા ખોરવાયેલો વ્યવહાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: સેલવાસ સ્માર્ટ સીટી બસ સેવાની એક મહિલા કંડક્ટર ઉપર ટિકીટના પૈસા ચોરવાના તથાકથિત લગાવવામાં આવેલ આરોપ અંતર્ગત તેણીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે અને સ્માર્ટ સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરોએ આત્મહત્યાના વિરોધમાં બંધ પાળતા સ્માર્ટ સીટી બસ સેવાઆજે ખોરંભે પડી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના મરોખલ બરડપાડ ખાતે રહેતી સરસ્વતી ભોયા સેલવાસ સ્માર્ટ સીટી બસ સર્વિસ ચલાવતી કોન્ટ્રાક્ટર એજન્સીની કર્મચારી હતી. જેમના ઉપર શનિવારે સ્માર્ટ સીટી બસ સેવાની ટિકીટના પૈસા ચોરી કરાયા હોવાનો આરોપ લગાવાયો હતો અને તેણીને સ્માર્ટ સીટી બસ સેવાના મેનેજર પાસે લઈ જવાયા હતા. મેનેજરે પણ મૃતક સરસ્વતી ભોયાની વાત સાંભળવાની જગ્યાએ તેણીની સાથે અપમાનજનક ભાષામાં કરેલ વ્યવહારથી પોતાની નિર્દોષતા પુરવાર કરવાની તક નહીં મળતા અને સમાજમાં ચોરીના લાગેલા કલંકથી માઠું લાગતા છેવટે પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ બાબતે ન્યુઝ એજન્સી પીટીઆઈની સેલવાસ સ્માર્ટ સીટીના સીઈઓ સુશ્રી ચાર્મી પારેખ સાથે કરેલી વાતચીતમાં તેણીએ જણાવ્યું હતું કે, પીડિત મહિલા સ્માર્ટ સીટી બસ સર્વિસ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ કરાયેલી ખાનગી એજન્સીની કર્મચારી હતી અને આત્મહત્યાનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.