-
સેલવાસના કલા કેન્દ્ર ખાતે સવારે 10:00 વાગ્યે અને સાંજે 4:00 વાગ્યે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાનારી જન સુનાવણી
-
દીવ ખાતે 12મી મેના રોજ યોજાશે જન સુનાવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : આવતી કાલે સવારે 10:00 વાગ્યે સેલવાસના કલા કેન્દ્ર ખાતે અને સાંજે 4:00 વાગ્યે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં અને તા.12મી મેના રોજ દીવ ખાતે જેઈઆરસી દ્વારા પ્રદેશના વીજ ઉપભોક્તાઓના વીજ દરના વધારા-ઘટાડા સંદર્ભમાં પોતાના સૂચનો અને ફરિયાદો સાંભળવા માટે જન સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પ્રદેશના લોકો ઉપસ્થિત રહે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગયા વર્ષે ટોરેન્ટ પાવરે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાવર ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશનનો 51 ટકા હિસ્સો હસ્તગત કર્યા બાદ જેઈઆરસી સમક્ષ 2023-24ના વર્ષ માટે એ.આર.આર. અને ટેરિફનો પ્લાન સુપ્રત કરેલ છે. જેના સંદર્ભમાં જેઈઆરસી દ્વારા જન સુનાવણીનું આયોજન કરવામાં આવેલ છે. આ જન સુનાવણીનું ડોમેસ્ટિક, કોમર્શિયલ, ઔદ્યોગિક,કૃષિ સહિત વિવિધ શ્રેણીના પ્રસ્તાવિત વીજ દરના સંદર્ભમાં હિતધારકોના સૂચનો અને ફરિયાદો સાંભળવામાં આવશે. આ જન સુનાવણીમાં ફક્ત 2023-24ના વર્ષ માટે જ નહીં પરંતુ 2022-23ના વર્ષ માટેના રિવાઈઝ એ.આર.આર. ઉપર પણ સુનાવણી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લગભગ 95 ટકા જેટલા ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ગ્રાહકો છે. જ્યારે ડોમેસ્ટિક અને કૃષિ ક્ષેત્રના ગ્રાહકોની સંખ્યા માંડ 4 થી 5 ટકા જેટલી છે. તેથી યુનિટ દર ઉપર કરાતા એક પૈસાનો વધારો પણ પ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે વિપરીત અસર કરનારો પણ બની શકવાની સંભાવના રહે છે. આવતી કાલે સેલવાસ અને દમણમાં તથા તા.12મી મેના શુક્રવારના રોજ દીવ ખાતે જેઈઆરસી દ્વારા યોજાનારી જન સુનાવણીમાં મોટી સંખ્યામાં હિત ધારકો ઉપસ્થિત રહે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.