(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09: ચીખલી સહિતના તાલુકાઓની તમામ ગ્રામ પંચાયતો પાસે મહાત્મા ગાંધીની 150-મી જન્મ જયંતિ નિમિતે હજ્જારો રૂપિયાના ખર્ચે લગાવાયેલા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બનવા પામ્યા છે. હવે વિકાસના કામોની વિગત પણ લખવામાં આવતી નથી. અને જે લખાયેલ છે તે પણ ભૂસવાના આરે છે.
સરકારના સૂચનાથી દરેક ગ્રામ પંચાયતો ઉપર પાંચેક વર્ષ પૂર્વે મહાત્મા ગાંધીની 150-મી જન્મ જયંતિ નિમિતે રૂા.50,000/- ખર્ચે મસમોટા બોર્ડ લગાવાયા હતા. જેમાં ગામનું નામ, સરપંચનું નામ, વસ્તી ઉપરાંત વિકાસના કામોની વિગત રકમ સાથે લખવામાં આવી હતી. આ ઉપરાંત મિશન અંત્યોદય મુજબ ખૂટતી સુવિધામાં ગામમાં ગંદા પાણીના નિકાલની ગટર, ગામમાં કચરા નિકાલની ગટર, ગામના તમામ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા, ગામના તમામ ફળીયા સોસાયટીમાં રસ્તા અને લાઈટની સુવિધા, ગામ તળાવ પાળ ઉપર વોકિંગ વે, જાહેર માર્ગ ઉપર વૃક્ષારોપણ સહિતની વિગતો દર્શાવાઈ હતી.
જોકે આ બોર્ડ વર્ષ 2018-19 પછી વિકાસના કામો કે અન્ય કોઈ વિગત લખવામાં આવી નથી. અને હાલે સ્થિતિ એવી છે કે પાંચવર્ષ પૂર્વે જે વિગતો લખવામાં આવી હતી તે પણ નામશેષ થવાના આરે જોવા મળી રહી છે. ખરેખર વર્ષ-વર્ષે થતા ગામના વિકાસ લોક સુખાકારીના કામોની વિગત દર્શાવવામાં આવે તો લોકો પણ વિકાસના કામોથી અવગત રહે પરંતુ પાંચ વર્ષ પૂર્વે લખવામાં આવતા આ મસમોટા બોર્ડ પાછળ કરવામાં આવેલ ખર્ચ પણ માથે પડવા સાથે આ બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા જ બનવા પામ્યા છે. ત્યારે આ બોર્ડનો યોગ્ય ઉપયોગ થાય તે દિશામાં ઉચ્ચ અધિકારીઓ આયોજન કરવામાં આવે તે જરૂરી છે.