(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા ‘લાઈફ સ્ટાઇલ ફોર ધ એન્વાયરોમેન્ટ’ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ઉપલક્ષમાં આજે ઉમરકુઈના બેહરૂન પાડા ખાતે ગ્રામજનો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને પર્યાવરણનું રક્ષણ કરવા અંગે વિસ્તારથી સમજ આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, વર્ષ 2021ના સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે સંયુક્ત રાષ્ટ્રદ્વારા આયોજીત 26મા ‘જળવાયુ પરિવર્તન’ સમ્મેલન દરમ્યાન ભારત દ્વારા ‘લાઈફ સ્ટાઈલ ફોર ધ એન્વાયરોમેન્ટ’ અભિયાનનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલ પર્યાવરણ પ્રત્યે જાગરૂક જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે જે મનુષ્ય અને વિનાશકારી ખપતની જગ્યાએ મનુષ્ય અને જાણીજોઈને ઉપયોગ પર કેન્દ્રિત છે તેના સારા-નરસા પરિણામની માહિતી બાબતે ગત 5મી મે, 2023થી 5મી જૂન સુધી વનવિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 14મી મે, 2023 રવિવારે સાયક્લોથોન, 20મી મેના રોજ નાઈટ કેમ્પ, 4થી જૂનના રોજ વોકેથોન અને 5મી જૂનના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નિર્ધારિત કરવામાં આવ્યું છે.