(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.12: શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત ધરમપુર સ્થિત વિજ્ઞાનપ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ પ્રદેશમાં વિજ્ઞાન અભ્યાસ માટે એક ઉભરતી સેન્ટર ઓફ એક્સલેન્સ બની ચૂકી છે, જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જ તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે દરેક પ્રકારનો સહકાર આપવામાં આવે છે. વિજ્ઞાનપ્રવાહની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં અત્યંત સહાયરૂપ નીવડે તેવા પ્રિપેરેટરી ક્રેશ કોર્સીસ નજીવા દરે અહીં કરાવવામાં આવે છે.
તારીખ 2જી મે થી 7મી મે દરમિયાન કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ માટે આવા જ એક ક્રેશ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રેશ કોર્સમાં ધરમપુર ઉપરાંત નવસારી, બીલીમોરા, સુરત, આણંદ ,દમણ વગેરે વિસ્તારની કોલેજોમાંથી M.Sc. અને T.Y. B.Sc.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોર્સના સમાપન પર એક કસોટીનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટોચના ત્રણ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ આવા કોર્સિસ માટે અલગ અલગ કોલેજના નિષ્ણાત અધ્યાપકોને એક સાથે લાવી આ વિસ્તારના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તાલીમ આપે છે. આ કોર્સીસમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ), GSET (ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ), GATE (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ), PET (પ્રિલિમનરી એલિજિબિલિટી ટેસ્ટ) વગેરે માટે જરૂરી તાલીમ જેમ કે સમસ્યા હલ કરવાની કુશળતાનો વિકાસ તથા અસરકારક પદ્ધતિઓ, તાર્કિક વિચારસરણીની વૃદ્ધિ, જટિલ વિશ્લેષણની સમજમાં વધારો, અને ઝડપમાં વધારો વગેરે.
ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક સુવિધાઓ અને સ્વછતા જોઈને આનંદ પામ્યા હતાં. નવસારીના જાનવી ઉપાધ્યાય (M.SC. પાર્ટ-1)એ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ”આ ક્રેશ કોર્સ મારા માટે ખુબ જ જરૂરી હતો, વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર થનારા આ કોર્સમાં આવીને હું મારા વેકેશનનો સદુપયોગ કરી શકી છુ, હું મારા જુનિયર્સ ને પણ આ કોર્સ કરવા પ્રોત્સાહિત કરીશ.”
સુરતના શ્રુષ્ટિ દેસાઈ (M.SC.)એ જણાવ્યું હતું કે “અમને આવી પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવા વાળું કોઈ ના હતું. ક્રેશ કોર્સની શરૂઆત કરવા બદલ સર્વ અધ્યાપકોનો તેમ જ આયોજકોનો ખુબ ખુબ આભાર. આ કોલેજ અમે પેહલી વાર જોઈ છે અને તેની જાળવણી ખુબ જ સરસ રીતે કરવામાં આવી છે.”
બીલીમોરાના રીષભ તિવારી (T.Y. B.Sc.)એ કહ્યું “અહીંયા આવીને હું પ્રોત્સાહિત થયો છું અને મને રસ જાગ્યો છે કે હું M.SC. પૂરું કરીને આ પરીક્ષાઓ આપીશ અને જરૂરથી પાસ થઈને આગળ Ph.D કરીશ.”
વાસ્તવિકતામાં NET અને GSET પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારકિર્દીની અનેક તકો ખુલી જાય છે જેમ કે તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે અરજી કરી શકે, GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા માટે લાયક બને છે તેમજ Ph.D (પીએચ.ડી.)માં પણ નોંધણી કરવા પાત્ર બને છે, CSIR NET સાથે વિદ્યાર્થી જો JRF (જુનિયર રિસર્ચ ફેલોશિપ)માં ઉતીર્ણ થાય તો Ph.D માટેની ફેલોશિપ પણ મેળવી શકે છે.