જન મંચ કાર્યક્રમ દ્વારા લોકોનાપ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડીશું : વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા
ક્વોરીના કારણે રાહદારીઓને થતું નુકસાન, ખૂંધ ખાતે થયેલ કોળી સમાજના આશાસ્પદ યુવાનની હત્યા, વાસ્મોની નબળી કામગીરીનાં કારણે ઘરે ઘરે નળમાં પાણી નથી આવતું જેવા પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં રજૂઆત કરીશું : વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.14: નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ જનતાના પ્રશ્નોને જનમંચથી વિધાન સભા સુધી પહોંચાડવા અને લોકોની વેદનાને વાચા આપવા માટે જનમંચના કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ સહિત કાર્યકરો ખુડવેલ ખાતે જનમંચના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીખલી તાલુકાના ખુડવેલ ગામે જનમંચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિરોધપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચીખલી-વાંસદા અને ખેરગામના આગેવાનો સાથે લોક પ્રતિનિધિઓ પોતાના પ્રશ્નો સાથે જનમંચમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જનમંચ એટલે જનતાના પ્રશ્નો માટેનો મંચ જ્યાં કોઈપણ સામાન્ય વ્યક્તિ પોતાનાપ્રશ્નો ઉપસ્થિત કરી શકશે. જે પ્રશ્નો આવનાર વિધાનસભા સુધી અમો પહોંચાડીશું. ચીખલી ખાતે રોડ પર આવેલો ક્વોરીને કારણે રાહદારીઓને થતું નુકશાન, ખૂંધ ખાતે થયેલ કોળી સમાજના આશાસ્પદ યુવાનની હત્યા, વાસ્મોની નબળી કામગીરીના કારણે ઘરે ઘરે નળમાં પાણી નથી આવતું જેવા પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં રજૂઆત કરીશું અને લોક પ્રશ્નો માટે આંદોલનો પણ કરીશું એમ જણાવ્યું હતં.
જ્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં નરેગાના કામો છેલ્લા 9-મહિનાથી થતા નથી. સરપંચોને 5-લાખના કામોની જોગવાઈ હોવા છતાં તાલુકા પંચાયત દ્વારા અન્યાય કરી મંડળીઓને કામો ફાળવવામાં આવે છે. કોળી સમાજના યુવાનની કોલેજ પાસે હત્યા કરી દેવામાં આવે છે. આવા પ્રશ્નો માટે આંદોલનો કે ધરણા પ્રદર્શનો કરવા પડશે. આ જનમંચ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, મગનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ, નિકુંજભાઈ, વલ્લભભાઈ, શશીનભાઈ, મહિલા પ્રમુખ અર્ચનાબેન, ભારતીબેન, મંજુલાબેન તેમજ માજી ધારાસભ્ય આનંદ ચૌધરી, પુનાજીભાઈ, ઈલ્યાસભાઈ, ધર્મેશભાઈ, દિપક બારોટ, નીરવ નાયક સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.