પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2018 બાદ સર્વે થયો નથી તો બીજી તરફ પોર્ટલ પરથી ઓટો ડીલીટ થયેલા લાભાર્થીઓના નામો પણ ફરી ચઢયા નથી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: હાલમાં જ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચીખલી તાલુકાના 42-જેટલા ગામોમાં 119 જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ઘણા વર્ષોથી અમલમાં છે. આ ઉપરાંત ઓબીસી સમાજના લોકો માટે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસયોજના તથા હળપતિ સમાજના પરિવારો માટે હળપતિ ગૃહ નિર્માણ બોર્ડની તથા આદિજાતિ સમાજ માટે આદિજાતિ વિભાગમાં પણ આવાસ માટેની જોગવાઈઓ છે. તેમ છતાં તાલુકામાં અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા ભીતવાળા મકાનમાં પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2018 બાદ સર્વે થયું નથી અને જે સર્વે થયું હતું. તે સર્વે મુજબની પ્રતીક્ષા યાદીમાંથી કોઈક કારણોસર પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોર્ટલ પરથી 405ની આસપાસના લાભાર્થીઓના નામનો ઓટો ડીલીટ થઈ ગયા હતા. 2018 બાદ પોર્ટલ ન ખુલતા આ ઓટો ડીલીટ થયેલા નામોનો ફરી પોર્ટલ પર પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થયો નથી. અને ઓટો ડીલીટ થયેલા પૈકી કોઈ લાભાર્થીનું આવાસ મંજુર થાય તો પણ પોર્ટલ પર નામ ન હોવાથી તેને લાભ આપી શકાતો નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના સિવાયની આવાસ માટેની યોજનાઓમાં મર્યાદિત ગ્રાન્ટના અભાવે ઘણા ઓછા પ્રમાણમાં લાભાર્થીઓને આવાસનો લાભ મળતો હોય છે.
ઉપરોક્ત સંજોગોમાં અનેક જરૂરિયાતમંદ પરિવારો આવાસના લાભથી આજે પણ વંચિત છે. તલાવચોરના શામળા ફળીયામાં મધુબેન ધનજીભાઈ પટેલ પોતાની પૌત્રી સાથે જ્યાં નિવાસ કરે છે. તે ઘરની ઉપર પતરાનું છત છે. તો દિવાલના સ્થાને ફરતે પ્લાસ્ટિક વિટાળેલું છે. એમ જોય તોઘરની વ્યાખ્યામાં પણ ન આવે તેવી સ્થિતિમાં આ દાદી-પૌત્રી નિવાસ કરી રહ્યા છે. શામળા ફળીયામાં જ વનીતાબેન હરીશભાઈ પટેલનો શ્રમજીવી પરિવારના કાચા ઘરની ભીત આજે પણ વાંસ અંશ લીપણવાળી છે. આવા તો અનેક પરિવારો આજે આવાસના લાભથી વંચિત છે. અને ખાસ કરીને ચોમાસામાં આવા પરિવારોના માથે સતત જોખમ તોળાતું હોય છે. ત્યારે તંત્ર દ્વારા નવેસરથી સર્વે કરાવી કાચા ઘરોને પ્રાથમિકતા આપવી જોઈએ બાકી હાલની સ્થિત અને ધારા ધોરણો મુજબ તો ગરીબ પરિવારોને પાકા ઘરનું સ્વપ્ન સ્વપ્ન રહી જશે તેમ લાગી રહ્યું છે.