ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસના ઝંડાચોક વિસ્તારમાં આવેલ આઝાદી સ્મારક પાસે કન્ટેઈનર ચાલકે વળાંક લેતી વખતે સ્તંભને કન્ટેઈનરનો ભાગ અડી જતાં સ્મારક તુટી પડતાં નુકસાન થવા પામ્યું હતું. પ્રશાસન દ્વારા મોટા વાહનોને રીંગરોડ ઉપરથી સીધા નીકળી જવાનો આદેશ હોવા છતાં પણ કેટલાક મોટા વાહનચાલકો જેમ કે, ટ્રક, કન્ટેઈનર, બસ વગેરે શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા હોય છે અને ઝંડાચોક નજીક ટ્રાફિક પોલીસથી બચવા માટે આઝાદી સ્મારક સર્કલ આગળથી વળાંક લેવાનો પ્રયાસ કરે છે. જેના કારણે વારંવાર ટ્રાફિકજામની પણ સમસ્યા બને છે.
અત્રે યાદ રહે કે, ગત દિવસોમાં પણ એક ખાનગી બસના ચાલકે દારૂના નશામાં આઝાદી સ્મારકની બાજુમાં આવેલ વીજ પોલના ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી.
ટ્રાફિક વિભાગ દ્વારા મોટા વાહનો જે સચિવાલય નજીકથી શહેરમાં પ્રવેશ કરે છે તેઓને રીંગરોડ તરફ જવા ઈશારો કરવા માટે એકજવાનને કાયમી ધોરણે તૈનાત કરવામાં આવે એ જરૂરી જણાઈ રહ્યું છે. કારણ કે, સેલવાસ ઝંડાચોક રોડ નજીક શાળા પણ આવેલી છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. શાળા શરૂ થવાના સમયે અને છૂટવાના સમયે અવર-જવર કરતા મોટા મોટા વાહનોના કારણે વિદ્યાર્થીઓને પસાર થવામાં ઘણી તકલીફો પડે છે. તેથી ટ્રાફિક વિભાગ દ્વારા પણ આ તરફ વધુ ધ્યાન આપવામાં આવે જરૂરી બન્યું છે.