(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: ચીખલી તાલુકાના નોગામા ગામે ઘરોની નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે તાલુકા પંચાયત સભ્ય દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી પાળો બનાવી આપવાની માંગ કરવામાં આવી છે.
નોગામા વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય હીનાબેન ઉમેશચંદ્ર પટેલ દ્વારા પ્રાંત અધિકારીને કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે નોગામા ગામે સાગર ફળીયા સ્થિત તળાવ ઊંડું કરવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી હતી. જે તળાવ હાલમાં ગેરરીતિ થઈ હોવાના કારણે બંધ છે. પરંતુ સામે આવેલ હળપતિ સમાજના ઘરોને ખૂબ જ નજીકથી ખોદી કઢાયું હોવાના કારણે ચોમાસામાં ઘરોને નુકશાન તેમજ જાનહાની થાય એવી પ્રબળ સંભાવના છે. તેવામાં ઘરોની પાછળ 25-ફૂટ જેટલો પહોળો પાળો નાંખવામાં આવે તો પાણીના પ્રવાહને અટકાવી શકાય તેમજ આસપાસમાં રહેતા આદિવાસી સમાજના ઘરોને નુકશાન થતું અટકાવી શકાય તેમ છે.
નોંધનીય છે કે, નોગામા ગામે તળાવમાં મોટાપાયે માટી ખનન કરાતા ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરી માપણી કરાવવામાટે અવાર નવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અને ભારે વિવાદ સર્જાતા તળાવનું ખોદકામ અટકાવી દેવામાં આવ્યું હતું. તળાવ ઊંડું કરવાની કામગીરીમાં વિવાદ સર્જાતા તેના સ્થાનિક રાજકરણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા સરપંચે સરપંચપદ ગુમાવવાની નોબત આવી હતી. હવે સ્થાનિક તાલુકા સભ્યની રજૂઆત બાદ તંત્ર દ્વારા પાળો બનાવવા માટે કવાયત હાથ ધરાશે કે કેમ તે જોવું રહ્યું.
નોગામા સ્થાનિક આગેવાન ઉમેશભાઈના જણાવ્યાનુસાર તળાવનું ખોદકામ ઘરોની નજીક થયેલ છે. અને તળાવની આસપાસ અંદાજે સોએક જેટલા મકાનો છે. તેવામાં ચોમાસા પૂર્વે પાળો ન બનાવાય તો ચોમાસામાં મોટી મુશ્કેલી સર્જાઈ તેમ હોય અને પાળો બનાવી આપવા રજૂઆત કરી છે.