(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓગસ્ટ-22 માં સમરોલીમાં ચીખલી-બીલીમોરા માર્ગ સ્થિત તળાવની પાળે નમો વડ વનનું નિર્માણ કરવામાંઆવ્યું હતું. જેમાં પ્રવેશ દ્વાર, વોક વે, બેસવા માટે કુટીર, બાળકોને રમવા માટે લપસણી, હિંચકા સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત પક્ષીઓનો કલરવ પણ આ નમો વડ વનમાં ગુંજતો રહે તે માટે પક્ષીઓને બેસવાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સમરોલીમાં નમો વડ વનમાં વોક વેની આજુબાજુ મોટી સંખ્યામાં વડના ઉપરાંત નીલગીરી, સરૂ, કદમ, સપ્તપણી, ગુલમોહર, સરગવો સહિતના બારેમાસ લીલાછમ રહેતા વૃક્ષોના રોપાઓ રોપવામાં આવ્યા છે. અને વોક-વે ની બન્ને બાજુના બગીચામાં સંખ્યા બંધ બાંકડાઓ પણ ગોઠવામાં આવ્યા છે.
સ્થાનિક ગ્રામ પંચાયત ઉપરાંત સમરોલીની સેવાભાવી સંસ્થા આર્ય ગ્રુપના કલ્પેશભાઈ સહિતના આગેવાનો દ્વારા રસ દાખવી વૃક્ષના રોપાઓ માટે ટપક સિંચાઈની વ્યવસ્થા કરતા આજે આ નમો વડ વનમાં હરિયાળી ખીલી ઉઠી છે.
સમરોલીનું તળાવ પાણીથી તરબોળ છે. તો બીજી તરફ તળાવની પાળે નમો વડ વનમાં લીલાછમ વૃક્ષોને પગલે ભર ઉનાળે શીતળતા અનુભવાઈ રહી છે. અને યુવાનો, મહિલાઓ કે વડીલો હોય એ તળાવની પાળે નમો વડ વનમાં નિરાંતની પળો માણતા જોવા મળી રહ્યા છે. નાના ભૂલકાઓ પણ નમો વડ વનમાં હિંચકે ઝૂલવાની, લપસણી કરવાનો આનંદ માણતા હોય છે.
આમ સામાજિક વનીકરણ વિભાગ અને સ્થાનિકગ્રામ પંચાયત દ્વારા નમો વડ વનમાં નક્કર કામગીરી કરવામાં આવતા સમરોલી ગામની શોભામાં અભિવૃધ્ધિ થવા સાથે લીલાછમ વૃક્ષોથી પર્યાવરણને પણ ફાયદો થશે તે પણ નિヘતિ છે. સમરોલીમાં નમો વડ વન દ્વારા તળાવની પાળનો વિકાસ અન્ય ગામના આગેવાનો માટે પણ પ્રેરણા સમાન છે.
સમરોલી આર્ય ગ્રપના કલ્પેશભાઈના જણાવ્યાનુસાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમૃત સરોવર રૂપે સામાજિક વનીકરણ દ્વારા અમારા ગામના તળાવની પાળે નમો વડ વન તૈયાર કરાયું છે. તેમાં અમે પણ પૂરતી તકેદારી રાખી સહયોગ આપી વ્યવસ્થામાં વધારો કરી વૃક્ષોના ઉછેર માટે પણ માવજત કરી રહ્યા છે. આ વનથી સ્થાનિકોની સુવિધામાં વધારો થયો છે.