શિવકથાનું રસપાન પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. ભરતભાઈ વ્યાસ કરાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: આવતી કાલથી દાદરા નગર હવેલીના નરોલીમાં ગોહિલ ફળીયા ખાતે હિંગળાજ માઁ તેમજ ભગવાન ભોળાનાથની અસીમ કળપાથી તથા પિતૃ નારાયણ દેવતાઓના આશીર્વાદથી સ્વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્ત પિતૃઓના શ્રેયાર્થે શિવકથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે આયોજીત શ્રી શિવ કથાનો શુભારંભ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી ભરતભાઈ વ્યાસના પાવન હસ્તે કરાશે. કથાના શુભારંભ પહેલાં આવતી કાલે બપોરે 2:00 વાગ્યે મલ્લિકાર્જુન મહાદેવ મંદિરથી પોથી યાત્રા નીકળીને કથા સ્થળે પહોંચશે. સંગીતમય શિવકથાનું રસપાન બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:વાગ્યા સુધી કથા સ્થળ ગૌરી શંકર બંગલો ગોહિલ ફળિયા, નરોલી ખાતે વ્યાસપીઠઉપરથી પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી ભરતભાઈ વ્યાસ (ધરમપુરવાળા) તેમની ઓજસ્વી વાણીથી કરાવશે.
કથા દરમ્યાન શિવ પ્રાગટય, પાર્વતી પ્રાગટય, શિવ-પાર્વતી વિવાહ, ગણેશ પ્રાગટય/રામેશ્વર પૂજા તેમજ શ્રી હનુમાન પ્રાગટય તથા દ્વાદશ જ્યોર્તિલિંગની કથાનું આયોજન કરવામાં આવશે. શિવકથાના આયોજક ગ.સ્વ. પૂર્વીબા ગૌતમસિંહ ગોહિલ, નટવરસિંહ રામસિંહ ગોહિલ દ્વારા કથા શ્રવણનો લાભ લેવા ભાવિક ભક્તોને સહ પરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.