ભાગ-02
સ્વચ્છતાથી લઈ શિક્ષણ સુધી અને માળખાગત સુવિધાથી લઈ ભૌગોલિક હદ સુધીના ક્ષેત્રમાં છેલ્લા નવ વર્ષમાં દાનહ અને દમણ-દીવમાં આવેલું આમૂલ પરિવર્તન
મોદી સરકારના શાસન કાળમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની થયેલી કાયાપલટની શરૂઆત ક્યાંથી થઈ તેની ગણતરી માંડવી મુશ્કેલ છે. કારણ કે, સ્વચ્છતાથી લઈ શિક્ષણ સુધી અને માળખાગત સુવિધાથી લઈ ભૌગોલિક હદ સુધીના ક્ષેત્રમાં છેલ્લા નવ વર્ષમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લોકોની વિચારશક્તિથી લઈ સમજદારી પણ બદલાઈ છે. સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પ્રશાસનનું વર્ક કલ્ચર પણ બદલાયું છે. પહેલી વખત પ્રથમ દરજ્જાના પ્રશાસનિક અધિકારીઓ ફિલ્ડ ઉપર જઈ ત્યાંની સ્થિતિને સમજી આયોજન કરતા થયા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના 9 વર્ષ પહેલાંના નજીકના ભૂતકાળ ઉપર જ નજર માંડવામાં આવે તો પણ હાલના વર્ષોમાં થયેલું પરિવર્તન પોતાની નજરે જોઈ શકાય છે. પ્રદેશમાં સ્વચ્છતાના નામે મીંડું હતું. દમણના દરિયા કિનારે ફરવું મુશ્કેલ હતું. મોટાભાગના લોકો કુદરતી હાજત માટે કિનારાનો ઉપયોગ કરતા હતા.જેના કારણે મોર્નિંગ વોક કે સાંજે સૂર્યાસ્તની મજા માણનારાઓ માટે નીચે જોવાની નોબત આવતી હતી.
પ્રદેશના લગભગ તમામ રસ્તાઓની આજુબાજુ કચરાના ઢગલાઓ જોવાતા હતા. પ્રવાસીઓની સંખ્યા પણ મર્યાદિત હતી. શરાબ અને કબાબના શોખિન પ્રવાસીઓ જ દમણ-દીવ કે દાદરા નગર હવેલીની મોટાભાગે મુલાકાત લેતા હતા. જ્યારે આજે પરિવાર સાથે ગૌરવપૂર્વક લોકો દમણ-દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. જેનો ફાયદો પ્રદેશના લોકોને જ મળતો થયો છે.
છેલ્લા 9 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટ ફક્ત સ્વચ્છતાના ક્ષેત્રે જ નથી થઈ, પરંતુ લોકોની વિચારશક્તિ અને સમજણમાં પણ બદલાવ આવ્યો છે. પહેલાં પ્રવાસીઓ સાથે કનડગત અને હંૂસાતૂંસીના અનેક બનાવો બનતા હતા. હવે તેમાં મોટો અંકુશ આવ્યો છે. પ્રવાસીઓ પ્રત્યે સ્થાનિક લોકોનું વલણ પણ બદલાયું છે અને પ્રવાસીઓ છે તો જાહોજલાલી હોવાની ભાવના પણ દૃઢ બની રહી છે. જેના કારણે પ્રવાસીઓને પણ સલામતિ મળતી હોવાની પેદા થયેલી લાગણીના કારણે દિન-પ્રતિદિન પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે.
છેલ્લા 9 વર્ષમાં મોદી સરકારના શાસન દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવે દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળભરી છે. મોદી સરકારના શાસનકાળમાં થયેલ વિકાસ જો પહેલાં થયો હોત તો આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની ગણતરી રાષ્ટ્રમાં એક મોડેલ પ્રદેશ તરીકે થઈ શકી હોત. જો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને તેમના વિશાળ અનુભવનો લાભ પ્રદેશને મળી રહ્યો છે.