સેલવાસ શહેરમાં રીંગ રોડ, નક્ષત્રવન સહિત અલગ અલગ સોસાયટીઓમાં અને ગાયત્રી મંદિર મેદાન સહિત વિવિધ ગામોમાં પણ વડ, પીપળો, લીમડો સહીત ફળફળાદી છોડોનું મોટાપાયે કરાયેલું વાવેતર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: આ દુનિયામાં માણસોની વસતી ભલે વધતી જોવા મળે, પરંતુ માનવીયતા અને સંવેદના કોઈ કોઈમાં જ જોવા મળે છે જે પ્રકળતિ પ્રત્યે પોતાની જવાબદારી અને માનવીય સેવાને પોતાનું કર્તવ્ય સમજે છે એવા વિરલ વ્યક્તિથી જ મળે છે અને એવી વ્યક્તિ શહેરમાં હોય તો શહેરની ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે.
દાદરા નગર હવેલીમાં છેલ્લા ચાર વર્ષથી ‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્થાના પ્રમુખ શ્રી સુરેશ મહાદેવ કાલે અને તેમની ટીમ દ્વારા સંસ્થાની સ્થાપના કરી માનવ સેવા સાથે પ્રકળતિ પ્રત્યે અને બેસહારા જીવો પ્રત્યે કરવામાં આવી રહેલ કાર્ય લોકો માટે આદર્શ માર્ગની સ્થાપના કરી રહ્યા છે.
ઇનપાસ સંસ્થા દ્વારા સેલવાસ શહેરમાં ખાસ કરીને રીંગ રોડ, નક્ષત્રવન સહિત અલગ અલગ સોસાયટીઓમાં અને ગાયત્રી મંદિર મેદાન સહિત અલગ અલગ ગામોમાં પણ વડ, પીપળો, લીમડો સહીત ફળફળાદી છોડોનુંવૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ 2050 જેટલા છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતર કરાયેલા છોડોમાંથી કેટલાક તો પંદર ફૂટથી પણ વધુ ઊંચા વૃક્ષ બની ગયા છે.
‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્થાની સ્થાપના 05/07/2019ના રોજ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ પ્રથમ જેમનો જન્મ દિવસ હોય તેઓને છોડ ભેટમાં આપી તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થાની શરૂઆત ફક્ત ચાર વ્યક્તિઓથી કરવામાં આવી હતી, જેમાં હાલમાં ઘણાં લોકોનો સહયોગ મળી રહ્યો છે. તેઓ દ્વારા જે છોડો રોપવામાં આવે છે એના માટે સમય પર પાણી છાંટી શકાય એના માટે એક હજાર લીટરની ટાંકી સાથે પીકઅપ ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનાથી વૃક્ષમાં પાણીનું સિંચન કરવામાં આવે છે.
અત્રે યાદ રહે કે, ‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્થાના પ્રમુખ શ્રી સુરેશ મહાદેવ કાલે જેઓ વર્ષ 1990થી 1998 સુધી આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવેલ ચૂકેલ છે. ત્યારબાદ તેઓને એમના મિત્રો સંતોષ ગોડકે-એડવોકેટ, કૈલાશ પાટીલ, આનંદ સાવડે, સિદ્ધાર્થ સુથાર, અખિલેશ શર્મા સહિતની ટીમના સહયોગ દ્વારા વૃક્ષારોપણ કરી પ્રદેશને હરિયાળો બનાવવાનો તનતોડ પ્રયાસ કરીરહ્યા છે.
આ અવસરે પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, શરૂઆતના સમયમાં એમની ટીમને વનવિભાગ દ્વારા છોડના વળતર ચૂકવી છોડ આપવામાં આવતા હતા, પરંતુ હાલમાં અમારી સંસ્થાને નિઃશુલ્ક ભાવે છોડ આપવામાં આવી રહ્યા છે. વનવિભાગ સાથે પ્રદેશની અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ અમારી ઝુંબેશ માટે સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. તે બદલ અમે તમામનો દિલથી આભાર માનીએ છીએ અને આશા રાખીએ કે, ભવિષ્યમાં આવો જ સાથ અને સહકાર મળતો રહેશે.