સેલવાસની ફાસ્ટ ટ્રેક કોર્ટના વિદ્વાન ન્યાયાધિશ એસ.એસ.આડકરે સંભળાવેલી સજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસ ફાસ્ટ ટ્રેક પોક્સો કોર્ટમાં લગભગ 6 મહિનાથી ચાલી રહેલા એક સગીરાસાથેના બળાત્કાર કેસમાં આજે વિદ્વાન ન્યાયાધિશ શ્રી એસ.એસ.આડકરે આરોપી સંજય રામપાલ રહે. પ્રયાગરાજ ઉત્તર પ્રદેશને દોષિત ઠેરવી 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000ના દંડની સજા સંભળાવવાનો શિરમોર ચુકાદો આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 03 ઓગસ્ટ, 2022ના રોજ સેલવાસ ખાતે રહેતી પીડિત સગીરાના પરિવારજનોએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સંજય રામપાલ રહે. પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ પોતાની દિકરીને ઘર સુધી છોડવાના બહાને તેણીની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાએ ઘરે આવી પોતાની પુરી આપવીતિ માતાને સંભળાવી હતી. ત્યારબાદ સેલવાસ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ આઈપીસીની 376 કલમ અને પોક્સો એક્ટની કલમ 6 અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. પોલીસે પીડિતા અને તેના પરિજનોના બયાન લીધા બાદ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે પીડિતાની મેડિકલ તપાસ પણ કરાવી હતી.
આ કેસના તપાસ અધિકારી મહિલા એ.એસ.આઈ. સુશ્રી પી.કે.પટેલે સેલવાસ પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી હતી. પોક્સો કોર્ટના વિશેષ વિદ્વાન ન્યાયાધિશ શ્રી એસ.એસ.આડકરે પીડિતાની મેડિકલ તપાસ, તપાસનીશ અધિકારી, પીડિતાના પરિજનો, અન્ય સાક્ષીઓને સાંભળ્યા બાદ આરોપી સંજય રામપાલને દોષિત ઠેરવી 20વર્ષની કઠોર જેલ અને રૂા.15000ના દંડની સજા સંભળાવી હતી. આ કેસમાં વિશેષ સરકારી વકિલ શ્રીમતી નિપુર્ણાબેન મહેન્દ્રસિંહ રાઠોડે કરેલી જોરદાર પેરવીના કારણે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે.