સામાનમાંથી આધારકાર્ડ મળ્યાથી મૃતકની ઓળખ થઈ : પરીયા રોડ ઉપર દુકાન ચલાવતા મૃતક નટવરલાલ શર્મા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22
‘‘ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શું થાશે” આ યુક્તિ આજે બુધવારે ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ઘટેલ અકસ્માતની ઘટનામાં સાબિત થઈ હતી.
ઉદવાડા પરીયા રોડ ઉપર ચામુંડા જનરલ સ્ટોર્સ નામની દુકાન ચલાવતા નટવરલાલ શર્મા નામનો વેપારી તેમની એક્ટીવા નં.જીજે 15 ડીએન 3215 લઈને ધંધાના કામે ધરમપુર જવા આજે સવારે નિકળ્યા હતા. નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન તેમની એક્ટીવાને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આવતા-જતા વાહન ચાલકો પૈકી કોઈએ ધરમપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી તેમના સામાનની તપાસ કરતા મળી આવેલ આધારકાર્ડ ઉપરથી ઓળખ થઈ હતી કે મૃતક ઉદવાડાના વેપારી નટવરલાલ શર્મા હતા.