-
જો કોઈ વિદ્યાર્થીના પગની સાઈઝ સાથે બુટ બંધ બેસતા નહીં હોય તો તેને પરત આપી બદલાવી લેવાની કાળજી જે તે શાળાના શિક્ષકોએ રાખવા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલે આપેલી સૂચના
-
દમણ જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચો જોડે શિક્ષણ વિભાગના નિર્દેશક જતિન ગોયલે શાળા પ્રવેશોત્સવના મુદ્દે કરેલી ચર્ચા-વિચારણાં: દીવ જિલ્લાના પ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગથી કરેલું સીધું જોડાણ
-
આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં પૂર્વ પ્રાથમિક તથા આંગણવાડીના ભૂલકાંઓને પણ જોડવાનો લેવાયેલો ઐતિહાસિક નિર્ણય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં તા.14થી 16મી જૂન સુધી મનાવાનારા શાળા પ્રવેશ મહોત્સવને યાદગાર અને ઐતિહાસિક બનાવવા શિક્ષણ વિભાગે કમર કસી છે. જેની કડીમાં આજે દમણ જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો જોડે વિચાર-વિમર્શ કર્યો હતો. જેનું જોડાણ વિડીયો કોન્ફરન્સિંગથી દીવ ખાતે પણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણેસંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે દમણ અને દીવના ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓને શાળા પ્રવેશોત્સવના મહત્વની સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષ સુધી પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ ઉજવાતો હતો. જ્યારે આ વર્ષે પ્રિ-પ્રાઈમરી તથા આંગણવાડીમાં પ્રવેશ લેતાં બાળકોને પણ પ્રવેશોત્સવમાં સામેલ કરાયા છે અને લગાતાર ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હોવાની જાણકારી આપી હતી.
સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના શિક્ષણ ક્ષેત્રના વિઝનની પણ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સંઘપ્રદેશની લગભગ તમામ શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે કોઈ મોટી સમસ્યા નથી. લગભગ તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તેમણે ગુજરાત બોર્ડના ઓછા આવેલા પરિણામ બદલ ચિંતા વ્યક્ત કરી હતી અને પરિણામોની સુધારણાં માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓના મંતવ્યો પણ જાણવાની કોશિષ કરી હતી.
શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રવેશોત્સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્તક વગેરે આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વિદ્યાર્થીના પગની સાઈઝ સાથે બુટ બંધ બેસતા નહીં હોય તો તેનેપરત આપી બદલાવી લેવાની કાળજી જે તે શાળાના શિક્ષકોએ રાખવી પડશે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ વર્ષે 14 જૂનથી 16 જૂન સુધી ત્રણ દિવસ દરેક સરકારી શાળાઓમાં આનંદોત્સવ મનાવવામાં આવશે. ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પ્રવેશોત્સવ મેગા શાળા વ્યવસ્થાપન સમિતિની મીટિંગ, જાગૃતિ રેલી, નવા દાખલ થયેલા બાળકો સાથે ખેલકૂદ અને વાલીઓ સાથે મીટિંગ જેવા કાર્યક્રમો કરાશે. જેમાં જન પ્રતિનિધિઓને ઉત્સાહભેર ભાગ લેવા માટે આહ્વાન કરાયું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુનિતાબેન હળપતિ, જિ.પં. સભ્ય શ્રી સદાનંદ મીટના તથા સરપંચો સહિત ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.