જન ભાગીદારી કાર્યક્રમો હેઠળ વિવિધ પ્રવૃત્તિઓમાં હિતધારકોને સામેલ કરવાનો ઉદ્દેશ્ય મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાના લક્ષ્યોને હાંસલ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પ્રણાલીમાં સક્ષમ વાતાવરણ ઊભું કરવાનો છેઃ સરપંચ મુકેશ ગોસાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : મૂળભૂત શિક્ષણ એ બાળક માટે ભવિષ્યના તમામ શિક્ષણનો આધાર છે. સમજણ સાથે વાંચવામાં, લેખન કરવા અને ગણિતની મૂળભૂત કામગીરી કરવા માટે સક્ષમ હોવાના મૂળભૂત પાયાના કૌશલ્યો પ્રાપ્ત ન કરવાને કારણે, બાળક ધોરણ 3 થી આગળના અભ્યાસક્રમની જટિલતાઓ માટે તૈયારી વિનાનું રહે છે. ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020′ મુજબ, શાળા શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા 2025 સુધીમાં પ્રાથમિક સ્તરે પાયાની સાક્ષરતા અને સંખ્યાના કૌશલ્યોનું સાર્વત્રિક સંપાદન હાંસલ કરવાની છે. જેના સંદર્ભમાં G-20 કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાનારી ચોથી અને છેલ્લી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપની બેઠક ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યૂમેરસી (FLN) પર આધારિત છે. જેનાસંદર્ભમાં કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મિશનની બાબતમાં જાગૃતિ ફેલાવવા રાજ્ય, જિલ્લા અને શાળા સ્તરે જન ભાગીદારી અંતર્ગત વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓનું સંચાલન કરવાની સૂચના આપવામાં આવી છે. તે મુજબ આજે મોટી દમણની દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્વમાં દમણવાડાની બાલ ગંગાધર તિલક શાળામાં જન ભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ‘નિપુણ ભારત મિશન’ની બાબતમાં જાગૃતિ ફેલાવવા રાજ્ય, જિલ્લા અને શાળા સ્તરે જન ભાગીદારી અંતર્ગત વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓનું સંચાલન કરવાના આપેલા દિશા-નિર્દેશ મુજબ દમણવાડાની બાલ ગંગાધર તિલક ઉચ્ચતર માધ્યમિક શાળામાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્વમાં જન ભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત ફાઉન્ડેશન લિટરેસી એન્ડ ન્યૂમેરસીના સંદર્ભમાં મહારાષ્ટ્રના પૂણેમાં G-20ની ચોથી અને છેલ્લી સમિટ યોજાઈ રહી છે.
શ્રી મુકેશ ગોસાવીએ વધુમાહિતી આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં જન ભાગીદારી કાર્યક્રમોમાં લોકોની સક્રિય ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરીને, શિક્ષણ વિભાગ, શાળાઓ, જિલ્લાઓ અને રાજ્ય સહિત વિવિધ સ્તરે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાની ખાતરી કરવા માટે, ખાસ કરીને મિશ્રિત શિક્ષણના સંદર્ભમાં પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની એક શ્રેણી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે દમણવાડા પંચાયત દ્વારા બાળ ગંગાધર તિલક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જન ભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવસરે બાળકોમાં G-20, NFP અને FLN વિશે જાગૃતિ લાવવા માટે જાગૃતિ રેલી, શપથ વિધિ, કલા અને ક્રાફટ(શિલ્પ) સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, કાવ્ય પઠન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના માધ્યમથી ‘એક ધરતી, એક પરિવાર’, બનાવવા માટે પાયાની સાક્ષરતા અને સંખ્યાના જ્ઞાનની સાર્વત્રિક સંપાદનની ખાતરી કરવા જન ભાગીદારી કાર્યક્રમોના ભાગ રૂપે, જિલ્લાઓ દ્વારા જિલ્લા સ્તરના કાર્યક્રમોનું આયોજન કરવાની પહેલ પણ કરવામાં આવી રહી છે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, જનભાગીદારી કાર્યક્રમો હેઠળ વિવિધ પ્રવૃત્તિઓમાં હિતધારકોને સામેલ કરવાનો ઉદ્દેશ્ય મૂળભૂત સાક્ષરતાઅને સંખ્યાના લક્ષ્યોને હાંસલ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પ્રણાલીમાં સક્ષમ વાતાવરણ ઊભું કરવાનો છે. જેમાં સમુદાયના સભ્યો, તેમના માતા-પિતા અને સમાજ અને સ્થાનિક સંદર્ભ અને સંસ્કળતિમાં સમુદાયના સભ્યોની ભાગીદારી, શિક્ષણના વાતાવરણ પર સ્વસ્થ અને સકારાત્મક અસર કરવા માટે સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરવો એ જનભાગીદારી પ્રવૃત્તિઓનું એક અભિન્ન ભાગ છે.
આ કાર્યક્રમ દરમિયાન દમણવાડા પંચાયત સચિવ શ્રી નિખિલ મિટના, એન્જિનિયર શ્રી વિપુલ માહ્યાવંશી, પંચાયત સ્ટાફ, શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.