દાનહ પોલીસ દ્વારા ૨૬મી જૂન સુધી ‘નશામુક્ત ભારત પખવાડિયા’ની ઉજવણી કરી લોકોને જાગૃત કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા સોમવારે નશીલી પદાર્થો-દવાઓનો દુરૂપયોગ અને ગેરકાયદેસર થતી તસ્કરીને રોકવા હેડક્વાર્ટર સેલવાસ ખાતે એસ.પી. શ્રી આર.પી.મીણા, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, ડી.વાય.એસ.પી. (પોલીસ ટ્રેનિંગ સાયલી)શ્રી એન.એલ.રોહિતની ઉપસ્થિતિમાં દાનહ રેસિડન્ટ વેલફેર એસોસિએશન અને વેપારી કલ્યાણ સંગઠન સાથે એક જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ એક જવાબદાર કાનૂન પ્રવર્તન એજન્સીના રૂપે દાનહ પોલીસે નશીલા પદાર્થો-દવાઓના ઉપયોગ વિરુદ્ધ લડવા વિશેષ રૂપે યુવાઓને ધ્યાનમાં રાખતા સામાન્ય જનતાની વચ્ચે નશીલા પદાર્થો અને દવાઓના દુરુપયોગથી થતી વિપરિત અસરો અંગે જાગૃતતા ફેલાવવાની પહેલ કરી છે. બેઠકમાં પોલીસ અધિકારીઓએ ઉપસ્થિતલોકોને ડ્રગ્સનું જોખમ અને એના દુષ્પ્રભાવ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. દરમિયાન દેશમાં નશીલી દવાઓના ભયની સ્થિતિ અંગે ટૂંકમાં વિડીયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
બેઠકમાં દાનહમાં નશીલા પદાર્થો અને દવાઓના વધી રહેલા જોખમની સ્થિતિને કેવી રીતે ખાળી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી. વેપારી એસોસિએશન દ્વારા દાનહ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ પ્રયાસોની સરાહના કરી હતી અને તેમણે પ્રદેશમાં નશાકારક પદાર્થો અને દવાઓના વધી રહેલા જોખમ વિરુદ્ધ ચલાવેલી લડાઈમાં સંપૂર્ણ સમર્થન આપવાની બાહેંધરી આપી હતી.
દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા 12 જૂનથી 26 જૂન,2023 સુધી ‘નશામુક્ત ભારત પખવાડિયું’ મનાવવામાં આવી રહ્યું છે જેમાં પ્રદેશના લોકોને જાગૃત કરવામાં આવશે.