(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં કૌંચાખાતેની ગુજરાતી માધ્યમ શાળામાં ચીખલીપાડા, જમાલપાડા અને રાનપાડાની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ બાદ નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કયું હતું અને તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ 6થી 10સુધીના પ્રથમ ક્રમાંકથી પાસ થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણના મહત્વ અંગે જાણકારી આપતા શિક્ષકોને માર્ગદર્શન કરતા જણાવ્યું હતું કે, શિક્ષણનું પવિત્ર કાર્ય કરવાનો અવસર મળ્યો છે જે એક ઘણું મહત્વપૂર્ણ કાર્ય છે જેને પુરી નિષ્ઠાથી કરવાનું છે. વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસની જવાબદારી આપણી છે.
આ અવસરે ઉપ સરપંચ શ્રીમતી સુનિતા કરપટ, સમાજ સેવિકા ભારતી ગોતરણા, સી.આર.સી. શ્રી બિમલ સીંગ રાજપૂત, મુખ્ય શિક્ષક શ્રી સંજય ચૌધરી, શ્રી પ્રવીણ હળપતિ, શ્રી દિનેશ ગાવિત, શ્રી રૂપેશ ગાયકવાડ, શાળાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.