જય રણછોડ, માખણચોરના નારા ગુંજ્યા : મહાનુભાવોએ રથોનું વિધિવત પ્રસ્થાન કર્યું : ઢોલના નાદે ભક્તો મન ભરી ઝુમ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: આજે મંગળવારે અષાઢી બીજના શુભ અવસરે વાપી, વલસાડમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાઓ નિકળી હતી. જાણે સૃષ્ટિના સર્જનહાર ભક્તોને દર્શન આપવા શેરીઓમાં ખુદ પધાર્યા હતા.
વલસાડ જગન્નાથ મંદિરેથી મહારાજશ્રીની આગેવાનીમાં શણગારેલા ભવ્ય રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામની નયનરમ્ય મૂર્તિ સ્વરૂપમાં બિરાજમાન થયા હતા. શિવજી મહારાજ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને આગેવાનોએ જગન્નાથ મંદિર છીપવાડથી ભગવાનના રથનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું. નાસિકિ ઢોલ અને ડીજેના તાલમાં ભાવિકો ભાવવિભોર બની ઝુમતા રહેલા હતા. રથયાત્રાનું ઠેર ઠેર લોકોએ ભવ્ય સ્વાગત સાથે ઠેર ઠેર સરબત-પાણીની વ્યવસ્થા કરાઈ હતી. ભગવાનનો રથ દોરડાથી ભાવિકો ખેંચી ધન્યતા અનુભવતા હતા. શેરની શેરીઓ ભગવાન રથ ફરીને સાંજના નિજ મંદિરે પરત આવ્યો હતો તે પ્રમાણે વાપીના ડુંગરા ખાતે શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જગન્નાથ મંદિરેથી ચણોદ ભૂલાનગર સુધી ભગવાન જગન્નાથની 13મી રથયાત્રા હર્ષોઉલ્લાસ થી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિભક્તોસાથે નીકળી હતી. આ યાત્રા વલસાડ જીલ્લાના કલેક્ટર શ્રીમતિ ક્ષિપ્રા આગ્રેની તેમજ પૂર્વ મંત્રીશ્રી રમણલાલ પાટકર સાહેબ, વાપી, મામલતદાર શ્રીમતિ કલ્પનાબેન પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કાશમીરા શાહ, વાપી નગરપાલિકા શાસકપક્ષ નેતા શ્રી નિલેશભાઈ રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી વસાવા સાહેબ, સર્કલ અધિકારીશ્રી વિવેકભાઈ ગઢવી, ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લાનાં સંયોજક મહેશભાઈ ભટ્ટ, જીલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ હિતેશભાઈ સુરતી, જય વ્યાસ, લાલજીભાઈ ભાનુશાલી, ભાજપ અગ્રણી દીપકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, પૂર્વ ન.પા. સભ્ય નરેશભાઈ હળપતિ ઉર્ફે કારાભાઈ, અંબાલાલ બાબરીયા મહેશભાઈ પટેલ સહિત પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, જીઈબીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા ચણોદ સુધી ફરી પરત નિજ મંદિરે પહોંચી હતી. રથયાત્રાનું ભાવિકો ઠેર ઠેર ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. વાપી, વલસાડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે આધ્યાત્મિક માહોલમાં સંપન્ન થઈ હતી.