સૌથી અધિક બુદ્ધિ પ્રતિભાવાળો પ્રદેશ એટલે પશ્ચિમ બંગાળ, વીરત્વ એ પશ્ચિમ બંગાળનો સ્વભાવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.20 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં મનાવવામાં આવી રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારતની કડીમાં આજે દમણમાં ગવર્નમેન્ટ હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસની ઉજવણી આનંદ અને ઉત્સાહથી કરવામાં આવી હતી. જેમાં દાદરા નગર હવેલી અને દમણમાં રહેતા પશ્ચિમ બંગાળના આગેવાનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પશ્ચિમ બંગાળના પ્રદેશમાં રહેતા લોકો સાથે સંવાદ કરતાં તેમણે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વિરાસતનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં સૌથી અધિક બુદ્ધિ પ્રતિભાવાળા પ્રદેશ તરીકે પશ્ચિમ બંગાળની ગણના થાય છે. આ પ્રદેશે અનેક વિભૂતિઓને જન્મ આપ્યો છે. તેમણે અરવિંદ મહર્ષિ, રામચંદ્ર પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર તથા સુભાષચંદ્ર બોઝ અને આર.એસ.એસ.ના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખરજીના યોગદાનને પણ યાદ કર્યા હતા. પ્રશાસકશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતને આઝાદી મળી તે વખતે જો સુભાષચંદ્ર બોઝ જીવિત હોત તો આજે ઈતિહાસ અલગ જ હોત.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બંગાળના પ્રતિનિધિઓને તેમના સંતાનોને પ્રદેશના મહાપુરૂષોની બાબતમાંજાણકારી આપવા આહ્વાન કર્યું હતું. તેમણે રામચંદ્ર પરમહંસના જીવન વિશે પણ મહત્વની જાણકારી આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં દેશ અને પ્રદેશ બંને સર્વાંગી વિકાસની અનુભૂતિ કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદે કરેલા પૂર્વાનુમાન મુજબ આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાક પરિશ્રમ અને દીર્ઘદૃષ્ટિથી આપણો દેશ વિશ્વ ગુરૂ બનવાની રાહ ઉપર અગ્રેસર છે.
પ્રારંભમાં વર્ષોથી દમણ-સેલવાસમાં રહેતા બંગાળના રહેવાસીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમારા વતન પશ્ચિમ બંગાળ કરતા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અમારી અને અમારા પરિવારની વધુ સલામતિ છે. અમે છ-છ મહિના ધંધાર્થે કામસર બહાર રહીએ તો પણ અમારો પરિવાર સુરક્ષિત હોવાની અમને ખાત્રી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મળે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશે છેલ્લા 7 વર્ષમાં દરેક ક્ષેત્રે ઐતિહાસિક વિકાસ કર્યો છે જેના અમે સાક્ષી છીએ.
આ પ્રસંગે પશ્ચિમ બંગાળના લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પણ છેલ્લા 7 વર્ષમાં થયેલા ઐતિહાસિક વિકાસકામોની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાંદમણના કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા, ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રા, દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા વગેરેએ મહેમાનોની આગતા-સ્વાગતા પણ કરી હતી.