250 ઉપરાંત મકાનો પાણીમાં ગરકાવ થયા : આર.એસ.એસ.ના કાર્યકરોએ હજાર ઉપરાંત લોકો માટે જમવાની વ્યવસ્થા કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12
વલસાડ કાંઠા વિસ્તારના ચાર થી પાંચ ગામો દરીયાઈ ભરતીથી ઘણા સમયથી ત્રસ્ત છે અને વારંવાર પાયમલીનો ભોગ બની રહ્યો છે. ગતરોજ પૂનમની મોટી ધોધમાર ભરતી આવી હતી. જેમાં રીતસરદરીયાના પાણી દાંતી, મોટી દાંતી, ભાગળ અને દાંડી જેવા ગામોમાં ઘૂસી ગયા હતા. અઢીસો ઉપરાંત મકાનો દરીયાના પાણીમાં રીતસર તરતા હોય તેવી આફત ગ્રામજનોના માથે કુદરતી આફત કયામત બની ત્રાટકતા ઠેર ઠેર તબાહી જ તબાહી જોવા મળી હતી.
વલસાડ કાંઠા વિસ્તારમાં વસતા ગામોના લોકો ઘણા સમયથી દરીયાઈ ભરતીનો ભોગ બની રહ્યા છે. અનેકવાર આંદોલનો, વારંવાર લેખિત મૌખિક કલેક્ટરમાં રજૂઆતો ગ્રામજનો સરકાર સમક્ષ પસ્તાળ પાડતા રહ્યા છે પરંતુ આ કુદરતી આફતનો માર ઝીલતા રહ્યા છે. ભરતી સમયે કાંઠાના દાંતી, મોટી દાંતી, ભાગળ અને દાંડી જેવા ગામોમાં પાણી ગામમાં અને લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. ગઈકાલે રક્ષાબંધન પૂનમના દિવસે આવેલી મોટી ભરતીમાં ચારેય ગામોમાં તબાહી સર્જાઈ હતી. લોકોના ઘર, સામાન, રાચ-રચીલું ઘરોમાં ભરાયેલા બે-ત્રણ ફૂટ પાણીમાં તરતો હતો. ખાવા પિવા અને રહેવાની આફતો સર્જાઈ હતી. તેથી વલસાડના આર.એસ.એસ.ના કાર્યકરો કાંઠા વિસ્તારમાં ધસી ગયા હતા. તેમજ સેવા અને રાહત કામગીરી તાબડતોબ શરૂ કરી એક હજાર ઉપરાંત લોકોની રસોઈ અને જમવાની વ્યવસ્થા કરી હતી. ચાર ગ્રામજનોનો હજારો વખત સરકાર સામે કરેલો કકળાટ વ્યર્થ છે. પેટનું પાણી કોઈનું હાલતું નથી. ચાર ગામો માટે પ્રોટેકશન વોલ જેવીપાયાની સુવિધા ઉભી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. પરિણામે ચાર ગામના લોકો વારંવાર દરિયાઈ ભરતીના ભોગ બની તબાહીનો શિકાર બની રહ્યા છે.