જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ દાનહ ખાતે વ્યક્તિગત સંપત્તિના રૂપે પોલ્ટ્રીફાર્મ સ્થાપિત કરવા માટે મનરેગા અંતર્ગત મજૂરી ખર્ચ આપવા બતાવેલી તત્પરતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાની આગેવાનીમાં ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ અને જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માની ઉપસ્થિતિમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ટીમે આર.જી.એસ. યોજના અંતર્ગત વલસાડના ઉમરગામ તાલુકાના ફણસા-કનાડુ સ્થિત પોલ્ટ્રીફાર્મની એક્સપોઝર વિઝીટ કરી હતી. એક્સપોઝર વિઝીટનો મુખ્ય ઉદ્દેશ લાભાર્થીઓમાં જાગૃતતા લાવવી અને મરઘાં-બતક કે અન્ય પાલતુ પક્ષીઓના પાલન, તેનો વિકાસઅને સંભવિત અવસર પ્રાપ્ત કરવાનો છે.
દાનહ જિ.પં.ની મુલાકાતી ટીમને ફણસા-કનાડુ પોલ્ટ્રી ફાર્મના માલિક શ્રીમતી પ્રિયંકા નિલેશ ધોડીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમને સુગુના પોલ્ટ્રીથી ફ્રેન્ચાઇઝી પ્રાપ્ત કરી કંપની દ્વારા પીલવા અને ખોરાક આપવામાં આવે છે અને 40-50 દિવસ પાલન કર્યા બાદ ખરીદી કરીને લઈ જાય છે. વર્તમાનમાં પોલ્ટ્રી ફાર્મમાં છ હજાર બચ્ચાઓનું પાલન કરી રહ્યા છીએ અને અંદાજીત 80 હજાર રૂપિયા પ્રતિ મહિને કમાણી થઈ રહી છે. મરઘાંઓના પાલન તથા દેખરેખ માટે ત્રણ વ્યક્તિઓ છે જેઓ રોજગાર પણ મેળવી રહ્યા છે.
દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખશ્રીએ આ પહેલને સંઘપ્રદેશમાં આગળ વધારવાનો વિચાર વ્યક્ત કર્યો છે. જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારીએ જણાવ્યું હતું કે, દાનહમાં વ્યક્તિગત સંપત્તિના રૂપે આવા પોલ્ટ્રીફાર્મ સ્થાપિત કરવા માટે સ્થાનિક લોકોને ‘મનરેગા યોજના’ અંતર્ગત મજૂરી ખર્ચ પ્રાપ્ત થશે.
મુલાકાત ટાણે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા સહિત જિલ્લા પંચાયત સભ્યો અને વિવિધ ગામના સરપંચો તથા પંચાયત સભ્યો જોડાયા હતા.