(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલીના પૂર્વ સરપંચ અને જાણીતા વેપારી અગ્રણી પ્રતાપસિંહ રણજીતસિંહ રાજપૂતનું ટૂંકી માંદગી બાદ 84-વર્ષની વયે નિધન થતા વલસાડ, સુરત જિલ્લા ઉપરાંત ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ ચીખલી ગ્રામ પંચાયત, પ્રેરણા ગ્રુપ, નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશન, ચીખલી સ્મશાનસંચાલન મંડળ, લાયન્સ કલબ, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, રોટરી કલબ ચીખલી સહિતની સંસ્થાઓ દ્વારા મજીગામ દિનકર ભવનમાં પ્રાર્થના સભાનું આયોજન કરાતા ધારાસભ્ય નરેશભાઈ પટેલ, સાંસદ ડો.કે.સી.પટેલ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઈ પટેલ ભાજપ અગ્રણી ભરતભાઈ પરમાર, એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ, ક્વોરી એસોસિએશનના પ્રમુખ સલીમભાઈ પટેલ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, વેપારી, આગેવાનો, તબીબો, વકીલો, અધિકારીઓ, ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિતોએ સ્વ.પ્રતાપસિંહ રાજપૂતના યોગદાનને બિરદાવી શ્રધ્ધાંજલિ આપી હતી.
ચીખલીને કર્મભૂમિ બનાવનાર સ્વ.પ્રતાપસિંહ રાજપૂતે 1983ના વર્ષમાં સરપંચ પદે ચૂંટાયા બાદ ગ્રામ પંચાયતની શાસનધુરા સંભાળી 15-વર્ષના શાસનમાં ચીખલી નગરની ધરમૂળથી કાયાપલટ કરી ચાર ચાંદ લગાવી દીધા હતા. અને સાશન સંભાળતા સમયે સ્વંભંડોળમાં 28/- રૂપિયા બેલેન્સ હતું. તે શાસન છોડતી વખતે છ કરોડ રૂપિયાનું બેલેન્સ કરી ગ્રામ પંચાયતની તિજોરી છલકાવી દઈ સમગ્ર રાજ્યમાં એક આદર્શ ગ્રામ ચીખલીને બનાવી દીધું હતું. તેમની દીર્ઘ દ્રષ્ટિ અને આગવા આયોજન દ્વારા ચીખલીમાં વર્ષો પૂર્વે માળખા ગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ફાયર સ્ટેશન, શાકભાજી માર્કેટ વિગેરે માટે જગ્યાઅબાધિત કરાવી સક્ષમ અધિકારી પાસે નકશા પણ મંજુર કરાવી નગર પાલિકા પ્રકારનું આયોજન તેમણે કર્યું હતું. તેમના સુશાસન ને આજે પણ લોકો યાદ કરે છે. સ્વ.પ્રતાપસિંહ ગ્રામ પંચાયતના વિકાસ સાથે સામાજિક, વેપાર ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. પ્રાર્થના સભામાં દરેક ક્ષેત્રેના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમના પુત્ર શૈલેન્દ્રસિંહ રાજપૂત સહિતના પરિવારજનોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રાર્થના સભાનું સંચાલન સ્મશાન ભૂમિ સંચાલન મંડળના પ્રમુખ ભીખુભાઈ કાપડિયાએ કર્યું હતું.