(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31: સંત શ્રી જલારામ બાપાની આજે 223મી જન્મ જયંતિની આનંદ અને ઉત્સાહ સાથે ભીમપોર પટેલ ફળિયા સ્થિત જલારામ મંદિરમાં ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આ મહોત્સવમાં સમગ્ર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દમણના 15000 થી 20000 જેટલા ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે સવારે 6.30 કલાકે શ્રી જલારામ બાપાની પાદુકા પૂજા કરવામાં આવી હતી. વેદપાઠી આચાર્ય શ્રી ચેતનભાઈ જોષીએ શ્રી વિરેન્દ્રભાઈ શાંતુભાઈપટેલના યજમાન પદે પૂજાઆરતી કરાવી હતી. સવારે 7.00 કલાકે મંદિરના શિખર પર ફટાકડા ફોડી મંગળા આરતી કરવામાં આવી હતી. આરતી બાદ તમામ ભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે દ્વાર ખોલવામાં આવ્યા હતા. સવારે 9.00 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, આરતી અને પ્રસાદનો તમામ ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, યુથ એક્શન ફોર્સ દમણના પ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, કડૈયા પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બાપાના આશીર્વાદ અને પ્રસાદ લીધો હતો. તમામ મહેમાનોનું જય જલારામ ભક્ત મંડળની કારોબારી સમિતિના સભ્યો શ્રી નવીનભાઈ પટેલ, મોહનભાઈ, વિરેન્દ્રભાઈ, દિનેશભાઈ, ઉદયભાઈ, રમણભાઈ, તમામ મહેમાનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સવારે 6.30 વાગ્યાથી શ્રી જલારામ બાપાના ભક્તોની કતારો લાગી ગઈ હતી. બપોરે 12.00 વાગ્યાથી મહાપ્રસાદના ભંડારાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભીમપોર ગામના વડીલશ્રીનું માર્ગદર્શન અને વિશેષ સહયોગ રહ્યો હતો તેમજ ગામના તમામ જ્ઞાતિના યુવાનો તેમજ આજુબાજુના ગામો દોરી કડૈયા, કડૈયા માછીવાડ તથા અન્ય સ્વયંસેવકોનો પણ ખૂબ જ સહયોગ મળ્યો હતો.
સાંજે 7.00 કલાકે શ્રી જલારામ બાપાની સાંજનીઆરતી કર્યા બાદ રાત્રે 8.30 કલાક સુધી ભજન-કીર્તન કરવામાં આવ્યું હતું. રાત્રે 8.30 થી 12.00 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકાર ભાઈ-બહેનોએ પ્રાર્થના, સ્વાગત ગીત, નૃત્ય, ગરબા, નાટકનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે રજૂ કર્યો હતો જેને જોઈને દર્શકોની મોટી ભીડ ઉમટી પડી હતી અને તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉમટી પડ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરતા કલાકારોનો ઉત્સાહ વધારવા તેઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જય જલારામ ભક્ત મંડળના સેક્રેટરી શ્રી વિરેન્દ્રભાઈ શાંતુભાઈ પટેલે આ ઉત્સવને સફળતાપૂર્વક ઉજવવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.