(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્યમાન કાર્ડમાં કેટલીક ગંભીર બીમારીઓમાં 10-લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે થતી હોય ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ સમાન છે. પરંતુ હાલે ચીખલી તાલુકા સહિત જિલ્લામાં હજ્જારોની સંખ્યામાં આયુષ્યમાન કાર્ડમાં નામોમાં ભૂલ આવી રહી છે. આયુષ્યમાનકાર્ડમાં ભાઇ, કુમાર કે અટક સહિત નામોમાં અનેક પ્રકારની ભૂલ આવતા જરૂરિયાતના સમયે હોસ્પિટલ દ્વારા એપ્રુવલ લેવાના સમયે રેશનકાર્ડ કે આધારકાર્ડ મુજબ નામ મેચ ન થતા એપ્રુવલ મળતું નથી અને એપ્રુવલ ન મળતા જરૂરિયાત મંદે પોતાના ગાંઠના રૂપિયા ખર્ચીને સારવાર કરાવવી પડતી હોય છે. અને તેવામાં આયુષ્યમાન કાર્ડનો કોઈ મતલબ રહેતો નથી.
વધુમાં પ્રાપ્ત વિગત મુજબ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જે તે કર્મચારી દ્વારા આયુષ્યમાન એપમાં જઇ રેશનકાર્ડ નંબર નાંખવાનો હોય છે. જે નંબર નાંખતાની સાથે રેશનકાર્ડમાં તમામ પરિવારના સભ્યોના નામ ઓપન થતા હોય છે. આ સાથે ગામનું નામ પસંદ કરી પીનકોડ નાંખી સબમિટ કર્યા બાદ આયુષ્યમાન કાર્ડ જનરેટ થતું હોય છે. આ ઉપરાંત જેમનો કાર્ડ હોય પરંતુ કોઈ સમસ્યા હોય અને એપમાં કેસરી રંગ દર્શાવે તેવામાં ઇકેવાયસી કરવાનું અને લીલા રંગ દર્શાવે તો ડાઉનલોડ કરવાનું હોય છે.
આમ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે બનાવનાર કર્મચારીએ નામ ટાઇપ કરવાની પણ જરૂર નથી. રેશનકાર્ડ નંબર નાંખતાની સાથે સીધા નામો પસંદ થયા હોય છે. એટલે ટાઇપ મિસ્ટેક નો પણ સવાલ નથી. તેવામાં આયુષ્ય એપમાં જ કોઈક ગરબડ થવાના કારણે રેશનકાર્ડમાં જે પ્રકારનું નામ હોય તે આયુષ્યમાનકાર્ડમાં આવતું નથી.
આયુષ્યમાન કાર્ડમાં નામોમાં આવતી ભૂલમાં સુધારો કરવા માટે સ્થાનિક અધિકારીઓની રજુઆત બાદ પણ સુધારો થતો નથી. અને ડીજીટલ યુગની વાતો કરતી સરકારના તંત્ર પાસે એપમાં થતી ભૂલોમાં સુધારો માટેનો કોઈ વિકલ્પ નથી. જેમાં આખરે પ્રજાએ જ વેઠવાની નોબત આવી છે.
જિલ્લાના એડીએચઓ મયંકભાઈ ચૌધરીના જણાવ્યાનુસાર આયુષ્યમાન કાર્ડના નામમાં આવતી ભૂલો અંગે અમારી સ્ટેટ લેવલની મિટિંગ પણ ચર્ચા કરી છે. અને અમારી કક્ષાએ બધે જ અમે રજૂઆતો કરી છે. અને આ સોફટવેર સેન્ટ્રલનું છે. અમે પણ આ સમસ્યાનું ઝડપથી નિવારણ આવે તે માટે પ્રયત્નશીલ છે.