(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ ભારે વરસાદને કારણે ખાનવેલથી દૂધની તરફ જઈ રહેલ મુખ્ય માર્ગ પર સેલ્ટી ગામે નવનિર્મિત પુલના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્થાનિકો તેમજ રોજિંદા વાહન વ્યવહાર કરતા વાહન ચાલકો અટવાયા હતા. આ રસ્તો દાનહ સાથે કપરાડા તાલુકાને પણ જોડે છે. પ્રદેશની ઈન્ડસ્ટ્રીઓમાં કામકરવા આવનાર લોકોએ ભારે વરસાદના કારણે માટી પુરાણ ધોવાઈ જવાના કારણે અનેક ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા અને તેઓએ પરત ફરવું પડયું હતું. જ્યારે પુલની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા હતા અને રસ્તાના મરામ્મતની કામગીરી આરંભી દીધી હતી.