નિવૃત્ત કર્મચારીઓ તથા અવસાન પામેલા 22 કર્મચારીઓના વારસદારોને રૂબરૂ સાંભળી પ્રશ્નો ઉકેલ્યા
ઓપન હાઉસમાં એસટીના કર્મચારીઓ અને વારસદારો મળી કુલ 48 લોકોએ લીધેલો ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વલસાડ એસ.ટી. વિભાગ ખાતે વિભાગીય નિયામક શ્રી એન. એસ. પટેલ દ્વારા સ્થળ ઉપર પ્રશ્નોના ઝડપથી નિકાલ અને કામદાર કલ્યાણની પ્રવૃત્તિ અંતર્ગત નવીન પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત તા.3 જુલાઈના રોજ વિભાગના નિવૃત્ત કર્મચારીઓ તથા અવસાન પામેલા 22 કર્મચારીઓના વારસદારોને રૂબરૂ બોલાવી ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓપન હાઉસમાં એસટીના કર્મચારીઓ અને વારસદારો મળી કુલ 48 લોકોએ ભાગ લીધો હતો. જેમાં કર્મચારીઓના નિવૃત્તિ તથા અવસાન બાદ મળવા પાત્ર નાણાંઓ ખાસ કરીને પેન્શન અને ઈ.ડી.એલ.આઈ. (એમ્પ્લોઈઝ ડિપોઝિટ લીંક્ડ ઈન્સ્યુરન્સ સ્કીમ-કામદાર બચત સંકલિત વીમા યોજના)ના દાવા ઘણા લાંબા સમયથી પડતર હતા, જેનો ઝડપથી નિકાલ થાય તે હેતુસર વિગતવાર સમજ આપી વારસદારો પાસેથી ખૂટતા દસ્તાવેજો મેળવી ત્વરિત નિકાલ કરી નીકળતા નાણાકીય લાભો કર્મચારીઓ અનેવારસદારોને મળે તે અંગે હકારાત્મક નિર્ણય સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બાબતે વલસાડ વિભાગના નિવૃત્ત થયેલા અન્ય કર્મચારીઓના ઇ.ડી.એલ.આઇ અને પેન્શનના દાવાઓ સહિત અન્ય બાબતોએ કોઈ પ્રશ્ન હોય તો તા. 17 જુલાઈ 2023ના રોજ સવારે 11-00 કલાકથી બપોરે 2-00 કલાક દરમિયાન વલસાડ એસટી વિભાગીય કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકશે, જેમાં તેઓને ચોક્કસ માર્ગદર્શન આપી તેઓના પ્રશ્ન ઉકેલવામાં આવશે.