મોતને ભેટનાર ચંદુ વળવીના પરિવારજનોએ કંપની-કોન્ટ્રાક્ટર પાસે વળતરની કરેલી માંગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગરહવેલીના અથાલ ગામ સ્થિત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ માર્બલ કંપનીમાં શેડના ઉપર વેલ્ડીંગ કામ કરતી વખતે નીચે પટકાતા ગંભીર ઇજાને કારણે કામદારનું ઘટના સ્થળે જ મોત થવાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અથાલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ સાલાસાર માર્બલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેડ પર વેલ્ડીંગનું કામ કરી રહેલ ચંદુ ભીખુભાઈ વળવી (ઉ.વ.41) રહેવાસી અથાલ જેઓનું વેલ્ડીંગનું કામ કરતી વખતે સંતુલન ગુમાવતા શેડ ઉપરથી નીચે પટકાવાના કારણે ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં નરોલી આઉટપોસ્ટના પી.એસ.આઈ. સુરજ રાઉત અને એમની ટીમ પહોંચી હતી અને ઘટના અંગેની જાણકારી મેળવી હતી અને લાશનો કબ્જો લઈ પી.એમ. માટે સિવિલ હોસ્ટિલમાં લઈ જવામાં આવી હતી. ચંદુના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓએ દાવો કર્યો કે કંપની દ્વારા કોઈપણ જાતના સેફટીના સાધનો આપ્યા ન હતા. જો સેફટીના સાધન હોત તો કદાચ ચંદુનો જીવ બચી શક્યો હોત. ચંદુના બે બાળકો છે અને પરિવારમાં કમાવવાવાળો એક જ સભ્ય છે જેથી કંપની અને કંપની કોન્ટ્રાકટર દ્વારા એમના પરિવારને વળતર આપવામાં આવે એવી માંગ કરી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરીરહી છે.