આવતી કાલ તા.17મી સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મ દિવસ છે. ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીના તાણાં-વાણાં ખુબ જ લાંબા સમયથી જોડાયેલા છે. સંઘના કાર્યકરથી લઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે અને હવે પ્રધાનમંત્રી તરીકે પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નજરમાં રહ્યું છે. એટલે જ તેમણે ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશમાં અમલદારો, રાજકીય પ્રતિનિધિઓ અને શેઠ-શાહુકારોની બનેલી જુગલબંધીના નેટવર્કને તોડવા માટે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તરીકે સુંદર કામગીરી બજાવી ચુકેલા અને તેમની પ્રતિબધ્ધતા અને પ્રમાણિકતા સામે કોઈ સવાલ નહીં ઉઠાવી શકે એવા નેતા શ્રી પ્રફુલભાઈ પટેલની નિયુક્તિ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખુબ જ દીર્ઘદૃષ્ટિ ભરેલો નિર્ણય લીધો હતો.
છેલ્લા 10 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની તસવીર અને તકદીર બંને બદલાઈ ચુક્યા છે. એક સમયે ગંદકીનો પર્યાય બનેલો પ્રદેશઆજે સ્વચ્છ ચોખ્ખો-ચણાંક બન્યો છે. વહીવટી અને રાજકીય ક્ષેત્રે પ્રસરેલા કચરાને હટાવવા પણ મહદ્અંશે સફળતા મળી છે. પ્રદેશના લોકો ભયમુક્ત પણ અવશ્ય બન્યા છે. હજુ અનેક સુધારાવાદી પરિવર્તનો થવાની સંભાવના છે.
દમણ-દીવના લોકો ભલે ઋણ ચુકવવા પાછળ પડયા પરંતુ પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશાળ હૃદયમાં પ્રદેશના સર્વાંગી વિકાસની જ ચિંતા રહી છે. એટલે જ આવતા દિવસોમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિકસિત ભારતની દોડમાં ડગથી ડગ માંડી સામેલ થવાના નિર્ધાર સાથે વિકાસના અનેક પ્રોજેક્ટો આગળ ધપી રહ્યા છે.
પ્રાતઃ સ્મરણિય વિશ્વ વંદનીય પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મ દિવસ નિમિત્તે ‘વર્તમાન પ્રવાહ’ પરિવાર પરમ કૃપાળુ પરમેશ્વર પાસે તેમની તંદુરસ્તી અને દીર્ઘાયુની કામના કરી નવા ભારતના નિર્માણ માટે ઔર વધુ બળ પ્રદાન કરે એવી દિલથી પ્રાર્થના કરે છે.