લોકોએ કરેલા ભારે વિરોધના કારણે અન્ય 4 આદિવાસીઓના ઘરોનું ડિમોલીશન સ્થગિત રાખ્યું: સ્વૈચ્છાએ ઘરો તોડી પાડવા મંગળવાર સુધીનો આપેલો સમય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : દાદરા નગર હવેલીના ખરડપાડા ગામ ખાતે પ્રશાસન દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. આ સંપાદિત જમીન ઉપર એક ભંડારી પરિવારનું ઘર હતું. તેને આજે સેલવાસ મામલતદારની ટીમે જેસીબી મશીનથી તોડી પાડવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના ખરડપાડા ખાતે પ્રશાસન દ્વારા સંપાદન કરવામાં આવેલ જમીન ઉપર ભંડારી પરિવારનું ઘર આવેલ હતું હતું જેને સેલવાસ મામલતદારની ટીમ દ્વારા જેસીબી મશીન દ્વારા ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું. નજીકમાં અન્ય ચાર આદિવાસીના ઘરો છે તેને પણ તોડી પાડવાના હતા, પરંતુ ભંડારીપરિવારના ઘરના કરાયેલા ડિમોલીશનના કારણે લોકોએ પ્રશાસનનો ભારે વિરોધ કર્યો હતો. જેના કારણે આદિવાસીઓના 4 ઘરનું ડિમોલીશન હાલમાં સ્થગિત રાખવામાં આયું છે.
પ્રશાસન દ્વારા આદિવાસી પરિવારના સભ્યોને મંગળવાર સુધીનો સમય આપ્યો છે, અને જણાવ્યું છે કે તમે સ્વૈચ્છાએ જગ્યા ખાલી કરી દો. જો તમે સ્વૈચ્છાએ જમીન ખાલી નહિ કરો તો અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. આ બાબતે આદિવાસી પરિવારોએ ડિમોલીશન કરનારી પ્રશાસનની ટીમને જણાવ્યું હતું કે, હાલમાં ચોમાસાની ઋતું ચાલી રહી છે અને ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. એવામાં ઘરોના ડિમોલીશન કરશો તો અમે ક્યાં જઈશું? તેથી માનવતાના ધોરણે થોડી રાહત આપવામાં આવે. પરંતુ અડિયલ પ્રશાસનની ટીમે છેલ્લે મંગળવાર સુધીનો જ સમય આપ્યો છે.