પોલીસ પ્રશાસન છાશવારે બની રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને
ડામવા સખત પગલાં ભરે એ જરૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા દેમણી રોડ પર આજે નહેર કિનારે અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દાદરાના દેમણી રોડ પરથી નોકરી પર જઈ રહેલા વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેઓને નહેર કિનારે અજાણ્યા યુવાનની લાશ જોવા મળી હતી. તેમણે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. પોલીસે યુવાનના લાશની ઓળખ કરી હતી કરી હતી, પરંતુ તેની ઓળખ થઈ શકી ન હતી. મૃતક યુવાનની ઉંમર અંદાજીત 35 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવાન અહી કેવી રીતે આવ્યો અને એના શરીર પર કોઈ જ ઈજાના પણ નિશાન જોવા મળ્યા ન હતા. પોલીસે મૃતક યુવાનની લાશનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ માટે સેલવાસ ખાતે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી.
આ ઘટના અંગેની ફરિયાદ નોધી વધુ તપાસ દાદરા પોલીસ કરી રહી છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીમાં મહિનેઅઠવાડિયે એકાદ-બે લાશ મળવાનો કે અકસ્માત થવા અંગેના બનાવો બની રહી છે, એ ભારે ચિંતાનો વિષય છે. છાશવારે બની રહેલા આવા અણબનાવો વિશે દાનહ પોલીસ સઘન તપાસ કરે અને વારેઘડીએ બનતાં લાશ મળવાની ઘટના કે હત્યા, આત્મહત્યાના બનાવોને બનતાં અટકાવે એ અતિ જરૂરી છે.