(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : પરિવર્તનની પહેલ અંતર્ગત ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત ‘ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામ-2023′ મહારાષ્ટ્રના પૂણે નજીક પંચગીની ખાતે યોજાયો હતો. જેમાં દેશના વિવિધ 20 જેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પચાસ જેટલી આદિજાતિના 95 જેટલા યુવા ટ્રાઇબલ લીડરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના બાલદેવી ગામના શ્રી રીતેશકુમાર નાનજીભાઈ પટેલ અને ખાનવેલ ખુટલી ગામના કુમારી ભાગ્યશ્રી રમેશભાઈવાઢુની પસંદગી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, આદિવાસી સમાજના આ યુવા લીડરોને આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો સહિત અન્ય રાજ્યોમાં આદિવાસીઓની પરિસ્થિતિ, તેમની રહેણીકરણી, સંસ્કળતિ, સભ્યતા, પહેરવેશ અને સાથે સમગ્ર દેશના આદિવાસીઓની એકબીજા સાથે ઓળખની આપલે થાય અને નવા યુવા લીડરોના નેતૃત્વની જાગૃતતાના હેતુથી ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન છેલ્લાં ઘણા વર્ષોથી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં દાનહ સહિત ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, માંડવી વિસ્તારના આદિવાસી યુવા લીડરોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને તેમણે તેમના નેતૃત્વનું કૌવત ઝળકાવ્યું હતું.
Previous post