ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીએ વર્તમાન સરપંચ, માજી સરપંચ અને તાત્કાલિન તલાટી કમ મંત્રી સામે ગેરરીતી, નિયમન ઉલ્ઘન અને નાણાની ઉચાપતની કરેલી ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂતે આજરોજ ઉમરગામ પોલીસ મથકે સોળસુંબા પંચાયતના માજી સરપંચ અમિત પટેલ, વર્તમાન સરપંચ બળદેવજશુભાઈ સુરતી અને ફરજ બજાવી ગયેલા તલાટી કમ મંત્રી સુધીર પ્રવીણ પટેલ સામે ગુનો દાખલ કરતા પંચાયતોમાં ગેરવહીવટ કરતા કારભારીઓમાં ગભરાટ ફેલાઈ જવા પામી છે. તાલુકા વિકાસ અધિકારીએ સોળસુંબા પંચાયતે નિર્માણ કરેલી દુકાનોની પ્રકિયામાં સરકારશ્રીના નીતિ નિયમોનું ઉલ્લંઘન, ગેરરીતિ, ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ નાણાની ઉચાપત કર્યાનો આરોપ મૂકી પોલીસ તંત્રને તપાસ સોપી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આ કામના આરોપી માજી સરપંચ અમિત પટેલે એમના શાસનકાળ દરમિયાન તાત્કાલિન તલાટી કમ મંત્રી સુધીર પટેલ સાથે મળી પંચાયતની સામાન્ય સભામાં માત્ર ઠરાવ કરી દુકાનોનું નિર્માણનું કામ ચાલુ કર્યું હતું અને દુકાનોની ફાળવણી હરાજી મારફતે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી વગર કરવામાં આવી હતી. હરાજી મારફતે પ્રાપ્ત થયેલા નાણાંના વહીવટ માટે એચડીએફસી બેન્કમાં અલગ ખાતું ખોલવામાં આવ્યું હતું. એના વહીવટ ઉપરથી સરકારી અધિકારીઓનું નિયંત્રણ દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી વર્તમાન સરપંચ બળદેવ જશુભાઈ સુરતી એ પણ ચાલુ રાખી હતી. ઘણી દુકાનો હરાજી મારફત ફાળવી દેવામાં આવી હતી અને હરાજીની રકમ અને વીજ કનેક્શનની રકમ મળી રૂપિયા 3.50 કરોડ જેટલી માતબર રકમ વસૂલાત કરવામાં આવી હતી. આદરમિયાન આ દુકાનો જે જમીન ઉપર નિર્માણ કરવામાં આવી છે એ જમીન ગૌચરણની હોવાનુ સામે આવ્યું હતું. જેમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયસિંહ રાજપૂતે ડીઆઈએલઆરના અધિકારીઓ પાસે માપણી કરાવી હતી. માપણીની પ્રક્રિયાથી હરાજી મારફતે હાંસલ દુકાન ધારકો ડરી ગયા હતા અને પંચાયત પાસે ભરપાઈ કરેલી રકમની પરત માંગણી કરી હતી. પંચાયતે રકમ પરત ન આપતા એની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં તાલુકા વિકાસ અધિકારીએ એમની કક્ષાએથી તપાસ કરી હતી અને આજરોજ આ ઘટનામાં પોલીસ તંત્રની કાર્યવાહી માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરીયાદના આધારે પોલીસ તંત્રએ આગળની તપાસ હાથ ધરી છે.