-
આલીશાન માર્કેટના નિર્માણ બદલ શાકભાજી અને મચ્છી વેચનારાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્યે પ્રગટ કરેલી આભારની લાગણી
-
દમણ ન.પા.ના તંત્રએ શરૂઆતથી જ શાકભાજી અને મચ્છી વિક્રેતાઓને તેમના ગંદવાડના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરાવવાની ફરજ પાડવી પડશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : મોટી દમણની નવનિર્મિત અદ્યતન શાકભાજી અને મચ્છી માર્કેટનો આજથી પ્રારંભ કરાતા વિક્રેતાઓ અને ખરીદદારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી અને આલીશાન માર્કેટના નિર્માણ બદલ શાકભાજી અને મચ્છી વેચનારાઓ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી પણ પ્રગટ કરી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની દમણ મુલાકાત દરમિયાન 25મી એપ્રિલ, 2023ના રોજ મચ્છી માર્કેટ અને શાકભાજી માર્કેટ તથા શોપિંગ કોમ્પલેક્ષનું લોકાર્પણ કર્યું હતું.
શાકભાજી અને મચ્છી વેચનારાઓ મોટી દમણ પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લી જગ્યામાં પોતાનો કારોબાર ચલાવતા હતા. જ્યાં ખુબ જ ગંદકી થતી હતી અને વરસાદમાં વેચનારા અને ખરીદનારા બંનેને ભારે તકલીફનો સામનો પણ કરવો પડતો હતો. આજથીનવનિર્મિત માર્કેટમાં શાકભાજી વિક્રેતાઓ અને મચ્છી વેચનારાઓને બેસાડતા એક સ્વચ્છ અને સુંદર વાતાવરણનો અનુભવ પણ થઈ રહ્યો છે. આ માર્કેટમાં ગંદા કચરા અને પાણીના નિકાલની કરાયેલી વૈજ્ઞાનિક વ્યવસ્થાના કારણે કચરાના ડુંગરો ઉભા નહીં થશે એવું માનવામાં આવે છે.
બીજી બાજુ દરેક વેચનારાઓ માટે ઊંચા ઓટલાની વ્યવસ્થા કરાયેલી હોવાથી રખડતા કૂતરાઓ દ્વારા મુખ્યત્વે મચ્છી માર્કેટમાં પેદા થતા ન્યૂસન્સથી પણ છૂટકારો મળશે અને મચ્છીની ગુણવત્તા પણ જળવાઈ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે.
દમણ નગરપાલિકાના તંત્રએ શરૂઆતથી જ શાકભાજી અને મચ્છી વિક્રેતાઓને તેમના ગંદવાડના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાવવાની ફરજ પાડવી પડશે. કારણ કે, મચ્છી માર્કેટમાં ઠેર ઠેર પથરાતા ગંદવાડથી મચ્છીઓ પણ ચેપગ્રસ્ત થવાની સંભાવના રહે છે. તેથી મચ્છી અને શાકભાજીની યોગ્ય ગુણવત્તા જળવાઈ રહે તેની તકેદારી પણ હવે તંત્રએ લેવી જરૂરી બની છે.